ગાંધીનગરના સેક્ટર-૨૨માં રહેતા વૃધ્ધને બેંક ખાતું બંધ કરાવવાની પ્રક્રિયા ઘરે બેઠા કરી આપવાની લાલચ આપી ઈસમોએ વૃદ્ધના બેંક કાર્ડ મેળવી લીધા હતા અને તેમના ડિમેટ એકાઉન્ટમાંથી આશરે ૪૬.૨૨ લાખ રૂપિયાના શેર વેચીને નાણાં સગેવગે કરી દીધા હતા. સાઇબર ગઠિયાઓ દ્વારા વૃદ્ધોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વખતે સેક્ટર-૨૨માં આત્મજ્યોતિ સોસાયટીમાં રહેતા અને સિંચાઈ વિભાગના નિવૃત નાયબ કાર્યપાલક ઈજનેર આત્મારામ મોહનલાલ વાળંદને નિશાન બનાવવામાં આવ્યા છે. 
જે અંગે મળતી વિગતો પ્રમાણે ગત ૧૫ સપ્ટેમ્બરના રોજ તેમની ઉપર દિવ્યા શર્મા નામની મહિલાનો ફોન આવ્યો હતો. તેણે પોતાની ઓળખ યશ બેંકના કર્મચારી તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે, તમારે બેંકમાં આવવાની જરૂર નથી, અમે ઘરે બેઠા જ તમારું ખાતું બંધ કરી આપીશું. આ માટે અન્ય બેંકનું ડેબિટ કાર્ડ જરૂરી હોવાનું કહીને તેણે કેતન નામના શખ્સને ઘરે મોકલ્યો હતો. વિશ્વાસમાં આવીને વૃદ્ધે પોતાનું બેંકનું ડેબિટ કાર્ડ કેતનને સોંપ્યું હતું.
આ દરમિયાન ગઠિયાઓએ વૃદ્ધના મોબાઈલ નંબરને બદલે અન્ય એક નંબર ડિમેટ એકાઉન્ટમાં રજીસ્ટર કરાવી દીધો હતો. તારીખ ૧૯ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન ગઠિયાઓએ આત્મારામભાઈના એચડીએફસી સિક્યુરિટીઝના ડિમેટ એકાઉન્ટમાં રહેલા શેર તબક્કાવાર વેચી દીધા હતા. આ વેચાણથી આવેલી કુલ ૪૬,૨૨,૪૨૫/-ની રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. જ્યારે એચડીએફસી સિક્યુરિટીઝના કર્મચારી અને બેંક મેનેજરે વૃદ્ધને ફોન કરીને મોટી રકમના ટ્રાન્ઝેક્શન અંગે જાણ કરી ત્યારે આ છેતરપિંડીનો ખુલાસો થયો હતો. તપાસ કરતા જણાયું હતું કે, શેર વેચાઈ ગયા છે અને ખાતામાંથી નાણાં ઉપડી ગયા છે. બનાવ અંગે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.




