સમગ્ર ગુજરાતની જેમ ભરૂચ જિલ્લામાં પણ અમુક તાલુકાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે ભરૂચ જિલ્લાના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા, રસ્તાઓનું રિપેરિંગ વરસાદના વિરામ બાદ ક્રમશઃ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના ક્ષતિગ્રસ્ત રસ્તાઓમાંથી ૩૫.૪૫ કીલોમીટરના રસ્તાઓની મરામત યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવી છે અને અન્ય રસ્તાઓ પર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભરૂચ જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ શહેર, તાલુકા અને ગામોને જોડતાં રાજ્ય ધોરી માર્ગો, મુખ્ય જિલ્લા માર્ગો અને અન્ય જિલ્લા માર્ગો, એમ મળીને કુલ ૩૫.૪૫ કિલોમીટરના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા.
જિલ્લામાં વરસાદના કારણે નુકસાનગ્રસ્ત રસ્તાઓને લીધે નાગરિકોને મુશ્કેલી ભોગવવી ન પડે, તે માટે વરસાદ બંધ થતાં ભરૂચ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, રિ-સરફેસિંગ, મેટલવર્ક કરવાની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. ભરૂચ વહિવટી તંત્રના માર્ગદર્શનમાં જિલ્લામાં વરસાદ બંધ થયા બાદ તાત્કાલિક ધોરણે માર્ગ-મકાન વિભાગના અધિકારીશ્રીઓને ખરાબ થયેલ રસ્તાઓના રિપેરિંગની કામગીરી ઉપરાંત જે રસ્તાઓ ઉપર પાણીનો ભરાવો થયો હોય, તેનો નિકાલ કરી રસ્તાઓને ખુલ્લા કરવા માટે અને ઝડપથી રસ્તાઓમાં મેટલ કામ કરવા, પેચ કામ કરવા, રસ્તા પર આવતા ઝાડી ઝાંખરા દૂર કરવા સહિતની કામગીરી હાથ ધરવા સૂચના આપેલી.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી યુદ્ધના ધોરણે આ કામગીરી ચાલી રહી છે. હાલ જિલ્લાના ખાસ પાલેજ ઉખર રોડ,પાલેજ ઈખર સરભાણ રોડ, અંક્લેશ્વર નેત્રંગ રોડ, અંકલેશ્વર રાજપીપળા રોડ,વાગરા ગાંધાર,દેરોલ રોડ, ઓલ્ડ નેશનલ હાઇવે સહિતના માર્ગોની મરામત કરી જનજીવન પૂર્વવત કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છેકે ભરૂચ જિલ્લામાં ૧૧૬૨.૬૮ કિમીના કુલ ૧૦૪ જેટલાં રસ્તાઓ આવેલાં છે. ૮૬.૫૦ કિ.મીના નાના-મોટા રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા.જેનું રિપેરિંગ કરીને તેને મોટરેબલ બનાવવાની કામગીરી પૂરપાટ વેગે ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૩૫.૪૫ કી.મી રસ્તાઓની પેચવર્કની કામગીરી પૂર્ણ થઈ છે. જ્યારે બાકીના ૫૧.૦૫ કિમી પેચ વર્કની કામગીરી ક્રમશઃ પૂર્ણ કરવામાં આવશે. જિલ્લાના તમામ નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, રિ-સરફેસિંગ, મેટલવર્કની કામગીરી ગણતરીના દિવસોમાં પૂર્ણ કરી દેવાશે, એવું જિલ્લાના કાર્યપાલક ઈજનેરએ જણાવ્યું છે.




