જામનગર શહેર અને જિલ્લામાં ચાર દિવસનાં વિરામ બાદ મંગળવારે સવારથી મેઘરાજાની પધરામણી થઈ હતી અને સાર્વત્રિક અડધાથી 3 ઇંચ વરસાદ પડી ગયાના વાવડ મળ્યા છે. જેના કારણે નાના તળાવો ચેકડેમોમાં પાણી ભરાયા છે, ઉપરાંત ત્રણ મોટા જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ છે. જોકે આજે મેઘરાજાએ ફરી વિરામ રાખ્યો છે.
જામનગર શહેરમાં સવારથી જ વરસાદી વાતાવરણ બનેલું હતું, અને સમગ્ર દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 21 મી.મી. વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત જોડિયામાં 32 મી.મી., ધ્રોલમાં 16 મી.મી., કાલાવડમાં 14 મી. મી., લાલપુરમાં 37 મી.મી. તેમજ જામજોધપુરમાં 43 મી.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં ધોધમાર 87 મી.મી. વરસાદ પડી ગયો હતો, જેના કારણે નદીનાળામાં પૂર આવ્યા હતા.



