દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી અરવિંદર સિંહ લવલીના રાજીનામા બાદ દેવેન્દ્ર યાદવને દિલ્હી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણી વચ્ચે અરવિંદર સિંહ લવલીએ રવિવારે કોંગ્રેસ પાર્ટીની કામગીરી પર સવાલ ઉઠાવતા રાજીનામું આપ્યું હતુ. લવલીના રાજીનામા બાદ દેવેન્દ્ર યાદવનું નામ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં સામે આવ્યું હતું. તેની સાથે રાજેશ લિલોઠીયાનું નામ પણ રેસમાં હતું.દેવેન્દ્ર યાદવ હાલમાં પંજાબ કોંગ્રેસના પ્રભારી છે અને વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા પછી પણ તેઓ આ પદ પર યથાવત રહેશે.
રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દિલ્હીમાં સાથે મળીને લડી રહ્યા છે જ્યારે પંજાબમાં તેઓ સામસામે લડી રહ્યા છે. દેવેન્દ્ર યાદવ દિલ્હીની બાદલી સીટથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2008 અને 2013ની વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. તેઓ કોંગ્રેસની સ્ક્રીનીંગકમિટીના સભ્ય પણ છે.દિલ્હીની તમામ 7 લોકસભા સીટો પર છઠ્ઠા તબક્કામાં25 મેના રોજ મતદાન થશે. અહીં કોંગ્રેસ-આપ ગઠબંધનનો ભાજપ સાથે મુકાબલો છે. ભાજપ સતત બે ચૂંટણીઓથી અહીં તમામ સાત બેઠકો જીતી રહ્યું છે.




