જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંત્રીશ્રીના વરદ્હસ્તે જિલ્લા માહિતી કચેરી-રાજપીપળા દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી તૈયાર કરાયેલી ‘વિકાસ વાટિકા-૨૦૨૩-૨૪’ પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. આ વિમોચન પ્રસંગે ભરૂચના સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખ, નાંદોદના ધારાસભ્યએ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી. આ ‘વિકાસ વાટિકા’ પુસ્તિકામાં વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ દરમિયાન જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસ કાર્યોને આલેખવામાં આવ્યા છે.
એકતાનગરના આંગણે ઉજવાતા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાથે જિલ્લાના પ્રવાસનને વેગવાન બનાવવા માટે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ઉપરાંત, નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું વિવરણ, જિલ્લાનો સંક્ષિપ્ત ઈતિહાસ, પ્રવાસન સ્થળો, લોકમેળાઓ, સાંસ્કૃતિક વનો, જિલ્લામાં થયેલા વિવિધ લોકાર્પણ/ખાતમુહૂર્ત, વિકાસ કાર્યો, આયોજન સહિતની રંગીન તસવીરી ઝલક સાથે માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વેળાએ જિલ્લા આયોજન અધિકારીએ પ્રાસ્તાવિક પૂર્વભૂમિકા આપી હતી. નાયબ માહિતી નિયામક વિકાસ વાટિકા-૨૦૨૩-૨૪માં સમાવિષ્ટ વિગતો-આલેખન અંગે પુસ્તિકામાં સંગ્રહિત કરેલી વિગતોનો ચિતાર રજૂ કર્યો હતો અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રએ આપેલા સસ્ટેનેબલ ગોલ-૨૦૩૦ (નિરંતર વિકાસના ધ્યેયો)ના ૧૭ મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલા નર્મદા જિલ્લાના એસડીજી રિપોર્ટ ૩.૦ પુસ્તિકાનું વિમોચન પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.




