ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. આ દરમિયાન રાજસ્થાનમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અહીં પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે જાણે કોઈ મોટો ધોધ વહેતો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી પર્વત પરથી વહેતા ધોધમાં 5 પ્રવાસીઓ વહી જતાં તંત્રની ચિંતા વધી ગઇ હતી. માતાના દર્શને આવેલી ડુંગરપુરની એક મહિલાનું મોત નીપજ્યું હતું.
જ્યારે ત્રણ પર્યટકોને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે. શનિવારે મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં હતાં. જસવંતપુરાના એસડીએમએ જણાવ્યું કે મંદિરના પગથિયાં પર ધોધની જેમ આવતા પાણીના તેજ વહેણને કારણે 5 પર્યટક વહી ગયા હતા જેમાં ત્રણને તો તંત્રના લોકોએ બચાવી લીધા હતા પણ એક મહિલાને બચાવી શકાઈ નહોતી. જોકે હજુ સુધી એકની શોધખોળ ચાલી રહી છે. પાણીના વહેણમાં તણાઈ ગયા બાદ બચાવી લેવાયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતકની ઓળખ ડુંગરપુરની વતની લક્ષ્મી પ્રેમચંદ તરીકે થઇ હતી.




