અમદાવાદની દાણીલીમડા વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં જીન્સ બનાવતી કંપનીમાં કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકના મોત નિપજ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં ખોડિયારનગર પાસે જીન્સ બનાવતી કંપનીમાં ત્રણ યુવકોના ટાંકીમાં ડૂબવાથી મોત નિપજ્યા છે. આ યુવકોની ઓળખ સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર તરીકે થઈ છે.
મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે, કંપનીની બેદરકારીના કારણે મૃતકોના મૃતદેહ આખી રાત ટાંકીમાં રહ્યા હોવાના કારણે તેમના મોત નિપજ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી અને મૃતકોના મૃતદેહોને મણિનગરની એલ. જી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા છે.
પરિવારજનોનો દાવો છે કે, કંપનીએ કામદારોને જોખમી રીતે ટાંકીમાં જ છોડી દેવાયા હતા. હોસ્પિટલમાં સ્થિતિ વકરે નહીં તે માટે પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી હતી. પરિવારજનોએ હોસ્પિટલમાં જવાબદાર લોકો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે હોબાળો કર્યો હતો. જોકે, આ વિશે ત્યાં હાજર વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘટનાના ક્રમ અને સુરક્ષા પ્રોટોકોલમાં સંભવિત ખામી શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આ એક દુઃખદ ઘટના છે. અમે શ્રમિકો ટાંકીની અંદર કેવી રીતે પહોંચ્યા અને ત્યાં શું કરતા હતા? ત્યાં સુરક્ષાની શું સુવિધા હતી તે વિશે તપાસ કરી રહ્યા છીએ. હાલ પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
