Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઈરાનીએ ફરી એકવાર પાકિસ્તાનમાં ઘુસીને પ્રહારો કર્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઈરાનીએ ફરી એકવાર પાકિસ્તાનમાં ઘુસીને પ્રહારો કર્યા છે. તેમની સેનાએ જૈશ-અલ-અદલના ઠેકાણાઓ પર હુમલો કરીને આતંકવાદી સંગઠનના કમાન્ડર ઈસ્માઈલ શાહબક્ષ અને તેના કેટલાક અન્ય સહયોગીઓને મારી નાખ્યા છે. ઈરાનના સરકારી મીડિયાને ટાંકીને આ માહિતી બહાર આવી છે. અહેવાલ છે કે ઈરાનની સેનાએ શુક્રવારે સાંજે સીસ્તાન-બલુચિસ્તાનના સરહદી પ્રાંતની નજીક પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી શાહબક્ષને ઠાર માર્યો હતો. તાજેતરમાં બંને દેશોએ એકબીજા પર હવાઈ હુમલા કર્યા હતા.

એક રિપોર્ટ અનુસાર, જૈશ અલ-અદલની રચના વર્ષ 2012માં થઈ હતી. ઈરાને તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ એક સુન્ની આતંકવાદી જૂથ છે. આ સંગઠન ઈરાનના દક્ષિણ-પૂર્વ પ્રાંત સિસ્તાન-બલુચિસ્તાનથી સંચાલિત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જૈશ અલ-અદલે ઈરાની સેનાના જવાનોને નિશાન બનાવ્યા છે અને તેમના પર હુમલા કર્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જૈશ અલ-અદલે સિસ્તાન-બલુચિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો અને તેની જવાબદારી લીધી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 11 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ગયા મહિને એકબીજાના વિસ્તારોમાં આતંકવાદી ટાર્ગેટ પર હવાઈ હુમલા બાદ પાકિસ્તાન અને ઈરાન સુરક્ષામાં સહયોગ કરવા માટે સંમત થયા હતા. આ કરારની જાહેરાત પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની અને તેમના ઈરાનના સમકક્ષ હોસૈન અમીર-અબ્દુલ્લાહિયન દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી. આ પત્રકાર પરિષદ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયમાં યોજાઈ હતી.

આ દરમિયાન જિલાનીએ કહ્યું હતું કે ઈરાન અને પાકિસ્તાન બંને જલદી ગેરસમજ દૂર કરી શકે છે. બંને દેશો પોતપોતાના ક્ષેત્રમાં આતંકવાદ સામે લડવા અને એકબીજાની ચિંતાઓને દૂર કરવા પણ સંમત થયા હતા. જો કે ઈરાનના હુમલા બાદ ફરી એકવાર બંને દેશો વચ્ચે તણાવ વધવાની પૂરી શક્યતાઓ છે. સમજૂતી પહેલા તેહરાન અને ઈસ્લામાબાદ વચ્ચે તણાવ વધી ગયો હતો. ઈરાને જૈશ અલ-અદલના બે હેડક્વાર્ટરને નષ્ટ કરવા માટે 16 જાન્યુઆરીની મોડી રાત્રે પાકિસ્તાનમાં મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા.

પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે ઈરાનના હુમલામાં બે બાળકોના મોત થયા છે અને ત્રણ છોકરીઓ ઘાયલ થઈ છે. હુમલા બાદ પાકિસ્તાને 17 જાન્યુઆરીએ ઈરાનથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. તેના એક દિવસ પછી, 18 જાન્યુઆરીએ, પાકિસ્તાને જવાબી કાર્યવાહીમાં ઈરાનની અંદર હુમલો કર્યો. ઈસ્લામાબાદે કહ્યું હતું કે તેણે આતંકવાદી સંગઠનો બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF)ના સ્થાનોને નિશાન બનાવ્યા હતા.