જૂનાગઢના બહુ ચર્ચીત તોડકાંડ પ્રકરણમાં સસ્પેન્ડેડ અને ફરાર પી.આઈ. તરલ ભટ્ટને ઝડપી પાડ્યો છે. અમદાવાદ સ્થિત નિવાસસ્થાને ગતરોજ ATS દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. દોઢ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. ત્યારે આજે અમદાવાદના રિંગરોડ પાસેથી આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરી લેવાઈ છે. અન્ય બે આરોપીઓની પણ ધરપકડ માટે ATS સક્રિય થઈ છે. તો તરલ ભટ્ટની પૂછપરછ હાલ શરૂ કરી દેવાઈ છે.
ક્રિકેટ સટ્ટાના નામે બેંક ખાતા ફ્રિઝ કરી તેને અનફ્રિઝ કરવાના બદલામાં મોટી રકમનો તોડ કરવા મામલે જૂનાગઢ એસ.ઓ.જી. પી.આઈ. એ.એમ.ગોહિલ, એ.એસ.આઈ. દિપક જાની અને માણાવદરના સી.પી.આઈ. સામે ગુનો દાખલ થયો હતો. આ ત્રણેયને સસ્પેન્ડ કરાયા હતા. હાલ આ મામલે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એસ.ઓ.જી.ના પી.આઈ. તથા એ.એસ.આઈ.એ તરલ ભટ્ટે બેંક ખાતાની વિગતો આપી હતી. આથી આ તોડકાંડનો મુખ્ય સુત્રધાર તરલ ભટ્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તરલ ભટ્ટ ફરાર થઈ ગયો હતો અને તે વિદેશ ભાગી ગયો હોવાની પણ ચર્ચા ચાલી રહી હતી. પરંતુ આજે તરલ ભટ્ટની અમદાવાદથી ધરપકડ કરી લેવાઈ છે.
હવે પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે. મહત્વનું છે કે, જૂનાગઢના માણાવદરના સર્કલ પીઆઈ તરલ ભટ્ટ, એસ.ઓ.જી. પી.આઈ. એ એમ ગોહિલ તેમજ એસ.એસ.આઈ. દીપક જાની સહિતના સ્ટાફ દ્વારા કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર ધરાવતા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને ED અને ઈન્કમટેક્ષ વિભાગમાં રિપોર્ટ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાનો તોડ કરવાના કેસમાં એટીએસ દ્વારા તપાસ શરૂ કરાયા બાદ જુનાગઢમાં એસ.ઓ.જી.ની ઓફિસ, માણાવદરમાં આવેલી તરલ ભટ્ટની ઓફિસ અને જુનાગઢમાં આવેલા નિવાસ સ્થાન તેમજ અમદાવાદના સોલા સ્થિત મકાન પર તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત્રે તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી.




