મણિપુરના કાંગપોકપી જિલ્લામાં બે જૂથો વચ્ચે ચાલી રહેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને ભાજપના એક નેતા સહિત પાંચ લોકો ઘાયલ થયા છે. આ ઘટના નજીકના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લમશાંગ વિસ્તારના કડાંગબંદ ગામ પાસેના કેમ્પમાં બની હતી. મે 2023થી પૂર્વોત્તર રાજ્યમાં પ્રવર્તી રહેલી વંશીય સંઘર્ષની લોહિયાળ રમત બંધ થવાના કોઈ સંકેત દેખાતા નથી. હિંસાની ઘટનાઓ સતત બની રહી છે. “અજાણ્યા બંદૂકધારીઓના હુમલા બાદ, ગામના લોકોએ વળતો જવાબ આપ્યો, જેના કારણે ગોળીબાર થયો જેમાં એક સ્વયંસેવકે જીવ ગુમાવ્યો અને અન્ય ઘાયલ થયો,” એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પ્રારંભિક વાટાઘાટો પછી, હુમલાખોરો ફરી એકઠા થયા અને બીજો હુમલો કર્યો. ગોળીબાર ચાલુ છે.” પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ગોળીબાર ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌત્રુક ગામમાં થયો હતો અને મૃત્યુઆંક વધવાની સંભાવના છે. ઓછામાં ઓછા એક વ્યક્તિ ગુમ થવાના પણ અહેવાલ છે. આ હિંસામાં ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ મનોહરમયુમ બરીશ શર્મા ગોળીબારમાં ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઇમ્ફાલ પશ્ચિમ અને કાંગપોકપી જિલ્લાની સરહદ પર બે સમુદાયના ગ્રામીણો વચ્ચે ગોળીબાર થયો હતો.
તાજેતરની હિંસા બાદ ઈમ્ફાલ ખીણના કડાંગબંદ, કૌત્રુક અને કાંગચુપ ગામોમાંથી લોકો પોતાનો જીવ બચાવીને ભાગી રહ્યા હોવાના અહેવાલો પણ છે. મંગળવારની ઘટના ઇમ્ફાલ અને કાંગપોકપી જિલ્લા વચ્ચેના વિસ્તારમાં બે સશસ્ત્ર જૂથો વચ્ચેના ગોળીબારમાં એક ગ્રામીણ માર્યા ગયાના બે દિવસ પછી આવી છે. ઉલ્લેખનીય છે કે મણિપુરમાં ગયા વર્ષે 3 મેના રોજ શરૂ થયેલી હિંસામાં 180થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 3000થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હિંસાને કારણે હજારો લોકો વિસ્થાપિત પણ થયા છે. રાજ્યમાં ઓછામાં ઓછા 60,000 કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાત હોવા છતાં આઠ મહિનાથી વધુ સમયથી હિંસા ચાલુ છે.




