કેન્દ્ર સરકાર વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કરવા રાજ્યોને 75,000 કરોડનું વ્યાજમુક્ત ધિરાણ પૂરુ પાડશે. આ વ્યાજમુક્ત ધિરાણ 50 વર્ષ માટે પૂરું પાડવામાં આવશે. સરકારે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાનું ધ્યેય નિર્ધારિત કર્યુ છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં તેમના બજેટ ભાષણ દરમિયાન આ વાત જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિકસિત ભારતનું ધ્યેય ચરિતાર્ર્થ કરવા રાજ્યોએ પણ વૃદ્ધિ અને વિકાસના ધ્યેયો હાંસલ કરવાની જરુર પડશે.
આ માટે તેમણે પણ જરુરી આર્થિકથી લઈ ટેકનોલોજીકલ અને રાજકોષીય સુધારા કરવા પડશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યોને 75,000 કરોડની લોન તેના સીમા ચિન્હો સાથે એટલે કે માપદંડો સાથે જોડાયેલી હશે. રાજ્યો આ માપદંડો પૂરા કરતા જશે તેમ-તેમ તેમને આ રકમ મળશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, રાજ્યોને આપવામાં આવનારું આ ભંડોળ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધોમાં ક્રાંતિકારી પરિવર્તન લાવનારું નીવડશે.
આગામી પાંચ દાયકા સુધી 75,000 કરોડની વ્યાજમુક્ત લોન કેન્દ્ર-રાજ્યોના સંબંધોમાં ધરમૂળથી ફેરફાર કરનારી નીવડશે. બજેટ દસ્તાવેજો મુજબ રાજ્યોને તેમના હિસ્સા, ગ્રાન્ટ્સ, લોન્સ અને કેન્દ્ર પ્રાયોજિત યોજના 2024-25 હેઠળ ફાળવવામાં આવનારી કુલ રકમ 22,22,264 કરોડ રૂપિયા હશે. આ રકમ 2022-23ના નાણાકીય વર્ષમાં ફાળવેલી રકમની તુલનાએ 4,13,848 કરોડનો વધારો દર્શાવે છે. સીતારામને જણાવ્યું હતું કે, મોદી સરકાર સર્વગ્રાહી, સર્વવ્યાપક અને સર્વસમાવેશક વિકાસ પર કામ કરી રહી છે. તેમા બધી જ જાતિના અને બધા જ સ્તરના લોકોનો સમાવેશ થાય છે. અમે ભારતને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું ધ્યેય ધરાવીએ છીએ.




