ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ વિભાગમાં ભરતી કરાયેલા 2,389થી વધુ મહેસૂલ તલાટીઓને શુક્રવારે ગાંધીનગર ખાતે આયોજિત રાજ્યસ્તરીય સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ મહેસૂલ વિભાગની અનેક નવી ડિજિટલ સેવાઓનું લોકાર્પણ તેમજ નવી કચેરીઓનું ઉદ્ઘાટન પણ કર્યું.
નવનિયુક્ત મહેસૂલ તલાટીઓને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે મહેસૂલ તલાટી મહેસૂલ તંત્રની “કરોડરજ્જુ” છે અને ગામડાના વહીવટમાં તેમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ગામના લોકોની સમસ્યાઓનું સ્થાનિક સ્તરે જ ઝડપી અને પારદર્શક રીતે નિરાકરણ લાવવું તલાટીની મુખ્ય જવાબદારી છે.
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે તલાટી તરીકે એવી કાર્યપદ્ધતિ અપનાવવી જોઈએ કે મુશ્કેલીમાં આવેલા વ્યક્તિનું કામ સરળતાથી પૂર્ણ થાય. આવા લોકોના આશીર્વાદ ઈશ્વરના આશીર્વાદ સમાન હોવાનું તેમણે જણાવ્યું. સાથે જ તેમણે ભવિષ્યમાં વિભાગ કે સરકારને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ કામગીરી નિયમબદ્ધ અને વ્યવસ્થિત રીતે કરવાની સલાહ આપી હતી.તેમણે ઉમેર્યું કે તલાટી પાસે આવતો દરેક નાગરિક પોતાના કામની ઝડપી અને સરળ પતાવટની અપેક્ષા રાખે છે. તેથી દરેક કર્મચારીએ પોતાની જાતને અરજદારના સ્થાને રાખીને સેવા આપવી જોઈએ. પ્રામાણિકતા અને સંવેદનશીલતાથી કરાતી કામગીરી પરિવાર, સમાજ અને સરકાર માટે ગૌરવનું કારણ બનશે તેમ પણ તેમણે જણાવ્યું.
આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે મહેસૂલ વિભાગની ત્રણ મહત્વપૂર્ણ પહેલોનો પ્રારંભ કરવામાં આવ્યો. તેમાં REVA (Revenue Voice and Assistance) નામની ક્યુઆર કોડ આધારિત ફીડબેક સિસ્ટમનો સમાવેશ થાય છે. આ વ્યવસ્થા હેઠળ કલેક્ટર, પ્રાંત, મામલતદાર, સબ-રજિસ્ટ્રાર અને ડીઆઈએલઆર કચેરીઓમાં નાગરિકો ક્યુઆર કોડ સ્કેન કરીને સેવાઓ અને કર્મચારીઓના વર્તન અંગે સીધો પ્રતિભાવ આપી શકશે.તે ઉપરાંત ઈન્ટિગ્રેટેડ રેવન્યુ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ (IRCMS) માં ઈ-ફાઇલિંગની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે અરજદારો ઘર બેઠા જ ઓનલાઈન મહેસૂલી કેસ દાખલ કરી શકશે, કેસની પ્રગતિનું રિયલ ટાઈમ ટ્રેકિંગ કરી શકશે અને ચુકાદા બાદ ઓનલાઈન હુકમની નકલ પણ મેળવી શકશે.
રાજ્યના સિટી સર્વે નકશાઓને જિયો-રેફરન્સિંગ માટે સર્વે ઓફ ઈન્ડિયા સાથે સમજૂતી કરાર (MoU) પણ કરવામાં આવ્યો, જેનાથી જમીન સંબંધિત માહિતી વધુ ચોક્કસ અને આધુનિક બનશે.મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું કે પારદર્શક ભરતી પ્રક્રિયા દ્વારા રાજ્યના મહેસૂલી વહીવટને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. તેમણે નવનિયુક્ત તલાટીઓને યાદ અપાવ્યું કે સામાન્ય નાગરિક, ખેડૂત અને ગરીબ વર્ગનો સરકાર સાથેનો પ્રથમ સંપર્ક તલાટી હોય છે, તેથી તેમનું વર્તન અને કામગીરી જ સરકાર પ્રત્યે લોકોનો વિશ્વાસ મજબૂત બનાવે છે.મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસે જણાવ્યું કે તમામ ઉમેદવારોની પસંદગી માત્ર મેરિટ અને ક્ષમતાના આધારે થઈ છે. તેમણે તલાટીઓને જમીનના રેકોર્ડ સંપૂર્ણ સચોટ રાખવા તેમજ સરકારી જમીન, ગૌચર અને તળાવો પરના ગેરકાયદે દબાણો અટકાવવા વિશેષ ધ્યાન આપવા અપીલ કરી.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું કે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ 2,389 ખાલી જગ્યાઓ સફળતાપૂર્વક ભરાઈ છે. તેમણે કહ્યું કે ગામડાના નાગરિકોને વધુ સારી સેવાઓ મળે તે માટે તલાટીઓ માટે સ્પષ્ટ જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી છે.સમારોહમાં ગાંધીનગરના મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્યો, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પ્રતિનિધિઓ તેમજ રાજ્યભરના કલેક્ટરો અને નવનિયુક્ત મહેસૂલ તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના અધિકારીઓ અને તલાટીઓ વર્ચ્યુઅલ માધ્યમથી પણ કાર્યક્રમમાં જોડાયા હતા.




