વાઘોડિયા તાલુકાનાં માડોધર નજીક નર્મદા માઈનોર કેનાલ પર કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર બે યુવકો પૈકી એકનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજાને ગંભીર ઇજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, શિનોર તાલુકાનાં ટિમ્બરવા ગામની નવીનગરી ખાતે રહેતાં અજયકુમાર મહેશભાઈ વસાવા (ઉં.વ.21) તેના મિત્ર પ્રહલાદકુમાર ભરતભાઈ વસાવા (રહે.તરવા,તા.શિનોર) સાથે વાઘોડિયા તાલુકાના માડોધર-સાંગાડોલ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલના રોડ પરથી બાઈક પર પસાર થઈ રહ્યા હતાં.
તે સમયે સામેથી પૂરઝડપે આવતી કારની સાથે તેમની બાઈક ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરે બંને બાઈક સવાર મિત્રો હવામાં ઉછળ્યા હતાં, જેમાંથી અજય કેનાલના પાણીમાં પડયો હતો, જ્યારે પ્રહલાદ રોડ પર ફંગોળાયો હતો. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસથી લોકો દોડી આવ્યા હતાં. તેમજ કેનાલમાં પડેલા અજયને બહાર કાઢ્યો હતો. બનાવ અંગે વાઘોડિયા પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, તેમજ બંને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ માં લઈ જવાયા હતાં, જ્યાં ફરજ પરના ડોક્ટરે અજયને મરણ ગયેલ જાહેર કર્યો હતો. જ્યારે પ્રહલાદની સારવાર હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.



