અમદાવાદનાં દાણીલીમડામાં સાંજે બે મિત્રો સાથે બેઠા હતા અને અગમ્ય કારણોસર તકરાર થઇ હતી અને ઉશ્કરાઇને યુવક ઉપર છરીના ઘા મારીને જીવલેણ હુમલો કર્યો હતો જેથી યુવક લોહી લુહાણ બેભાન હાલતમાં તરફડીયા મારતો હતો અને સારવાર દરમિાયન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે હત્યાનો ગુના નોંધ્યો હતો. બીજી તરફ ક્રાઇમ બ્રાચે આરોપીને જુહાપુરાથી ઝડપી પાડયો હતો. જોકે કયા કારણોસર હત્યા કરી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દાણીલીમડા વિસ્તારમાં રહેતી મહિલાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં દાણીલીમડા અલહબીબ એસ્ટેટ ખાતે રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે, સાંજે મહિલા સાસરીમાં આવી હતી ત્યારે દાણીલીમડામાં ઘર પાસે આવેલી બિસ્મીલ્લાહ હોટલ બહાર આરોપી અને તેમના દિયર ઝુબેર અબ્દુલરશીદ કુરેશી સાથે બેઠેલા હતા. આ સમયે બુમાબુમ થતા ઘર બહાર આવીને જોયું તો તેમની દિયરને આરોપી માર મારતો હતો. પરિવારના સભ્યો દોડીને ગયા તો આરોપી ત્યાંથી નાસી ગયો હતો. જ્યાં દિયર ઝુબેરને ગળાના ભાગે તથા છાતી અને હાથના ભાગે છરીના ઘા માર્યા હોવાથી તેઓ લોહી લુંહાણ બેભાન હાલતમાં હતા તેઓને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં લઇ જવાતા ફરજ પરના ડોક્ટરને તપાસ કરતાં તેમના દિયરને મરણ જાહેર કર્યા હતા. આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી ત્યાં આજે બપોરે ચોક્કસ બાતમી આધારે ક્રાઇમ બ્રાંચે આરોપીને જુહાપુરાથી ઝડપી લીધો હતો.
