દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. તેમને દિલ્લી હાઈકોર્ટ દ્વારા તેમના જામીન પર અપાયેલા સ્ટે વિરુધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. કેજરીવાલના વકીલોએ કાલ સવારે અરજીની સુનાવણીની માંગ કરી છે. કેજરીવાલ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં લખ્યું છે કે, જામીનના આદેશ પર આપવામાં આવેલો સ્ટે ઉપર હાઈકોર્ટનો અભિગમ કોર્ટ દ્વારા નિર્ધારિત કાયદાના સ્પષ્ટ આદેશની વિરુદ્ધ છે.
તે મૂળભૂત મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે જેના પર આપણા દેશમાં જામીનના કાયદા આધારિત છે. માત્ર અરજદાર એક રાજકીય વ્યક્તિ છે અને કેન્દ્રમાં રહેલી સરકારનો વિરોધી છે. ફક્ત આ કારણથી તેની સામે ખોટો કેસ બનાવવો એ આધાર હોઈ શકે નહીં. આ ઉપરાંત અરજદારને કાયદાકીય પ્રક્રિયાથી વંચિત રાખી શકાય નહીં. અરજીમાં એ પણ કહેવાયું છે કે, કોર્ટના આદેશથી ન્યાયની સાથે અરજદારને પણ નુકસાન પહોચાડ્યું છે.
કોર્ટનો આ આદેશ એક ક્ષણ માટે પણ ચાલુ રાખવો જોઈએ નહીં. કોર્ટે વારંવાર કહ્યું છે કે એક દિવસ માટે કોઈ પણ વ્યક્તિની સ્વતંત્રતા છીનવી લેવી એ યોગ્ય નથી. અરજીમાં સુપ્રીમ કોર્ટને આ મામલે હસ્તક્ષેપ કરવા માટે કહ્યું છે. અને હાઈકોર્ટે આપેલા આદેશને રોકવા તેમજ રદ કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે ન્યાયના હિતમાં અરજદારને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપવા વિનંતી કરાઈ છે. હાઇકોર્ટે જામીન રદ કરવા માટેની અરજી પર નિર્ણય લેવા માટે જરૂરી માપદંડોની અવગણના કરી છે. તેથી જામીન મંજૂર કરવા પર અપાયેલો સ્ટે એક દિવસ માટે ચાલુ રાખી શકાય તેમ નથી.




