સુરત શહેરનાં સચીન-કનસાડ ખાતે આવેલ ગુજરાત સ્લમ કિલયરન્સ બોર્ડના જર્જરિત થયેલા મકાનો ઉતારી લેવા માટે પાલિકા દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવતા મોટી સંખ્યામાં રહીશો જિલ્લા કલેકટર ખાતે મોરચો કાઢીને મકાનની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી હતી. રહીશો બે કલાક સુધી કલેકટર કેમ્પસમાં અંડીગો જમાવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સચીન પાલીમાં મકાન ધરાશયી બનેલી દુર્ધટના બાદ પાલિકા દ્વારા જેટલા પણ જર્જરિત મકાનો છે. તે ઉતારી પાડવા માટે નોટીસો પર નોટીસ આપવામાં આવી રહી છે.
જેમાં સચીન-કનસાડ ખાતે આવેલ ગુજરાત સ્લમ કિલયરન્સ બોર્ડના 171 જર્જરિત થયેલા બિલ્ડીંગો ઉતારી લેવા માટે પાલિકા દ્વારા જી.પી.એમ.સી એકટની કલમ 264 તેમજ 268 મુજબ વસવાટ ખાલી કરવા માટે નોટીસ બજાવવામાં આવતા આજે સચીન સ્લમ બોર્ડ પુનઃવર્સન સંઘર્ષ સમિતી દ્વારા રહીશોએ મોરચો કાઢીને જિલ્લા કલેકટર ખાતે બે કલાક સુધી માંગણી માટે લડત ચલાવી હતી. રહીશોએ આક્રોશ વ્યકત કર્યો હતો કે આ મકાનોમાં રહેનારાઓની આર્થિક સ્થિતિ સારી નથી.
બીજી જગ્યાએ ભાડે મકાન લેવાની કેપેસીટી નથી. આથી રહીશોએ આવેદનપત્ર પાઠવીને જિલ્લા કલેકટર સમક્ષ માંગ કરી હતી કે યુદ્વના ધોરણે ઇડબલ્યુએસ આવાસ, મુખ્યમંત્રી આવાસ, પ્રધાનમંત્રી આવાસ અથવા તો પતરાના શેડ બનાવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. જો રૃમોની સગવડના હોય તો રી-ડેવલપમેન્ટ ન થાય ત્યાં સુધી તમામ અસરગ્રસ્તોને મહિને ભાડુ ચૂકવવામાં આવે.



