અમદાવાદનાં નારોલમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નારોલમાં શાહવાડી ખાતે રસોઇ બનાવવા બાબતે દંપતી વચ્ચે તકરાર થઇ હતી જેમાં જમાવવાનું બનાવ્યું તેમાં મીઠું વધારે નાંખવાને લઇને ઉશ્કેરાઇને પતિએ પત્નીની હત્યા કરી હતી. પતિએ પત્નીને ઢોર માર માર્યા બાદ પેટમાં પાટું મારીને પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. બનાવ અંગે નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઝાલોદ તાલુકાના કદવાળ ગામમાં રહેતા લત્તાબહેન સંગાડા (ઉ.વ.35)એ નારોલ વિસ્તારમાં શ્રીરામ ટેનામેન્ટ સામે શાહવાડી ગામમાં રહેતા સનું ઉર્ફે સુનિલભાઇ સરદારભાઇ ડામોર સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની નાની બહેન અનિલાબહેને આરોપી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં ત્રણ બાળકો છે. જોકે ગત તારીખ 22નાં રોજ રાત્રે 8.30 કલાકે નારોલ ગામમાં મધ્યમવર્ગ સોસાયટીમાં ફરિયાદીની નાની બહેન અને તેના પતિ વચ્ચે જમાવવાનું બનાવવામાં મીઠું વધારે નાંખવા બાબતે તકરાર થઇ હતી જેમાં તેમના પતિએ ઉશ્કેરાઇને તેમની નાની બહેનને ઢોર માર માર્યા બાદ પેટમાં પાટું મારતાં તેમની બહેનનું મોત થયું હતું. ઘટનામાં પત્નીનું મોત થયું અને પતિ હવે જેલમાં જશે માટે મૃતક મહિલાના ત્રણ બાળકો નિરાધાર થઇ ગયા છે. નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ, આર.એમ.ઝાલાના જણાવ્યા મુજબ આ બનાવંમાં હત્યાનો ગુનો નોંધીને આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હતી.




