દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવયો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તેના પછી તેમણે દેશને સંબોધિત કરતાં સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા. મહિલાઓ પર થતા અત્યાચારો અંગે ચિંતા વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણે ગંભીરતાથી વિચારવું પડશે. આપણી માતા-બહેનો, દીકરીઓ પ્રત્યે જે અત્યાચાર થઇ રહ્યા છે તેના પ્રત્યે જન સામાન્યમાં આક્રોશ છે. દેશના લોકો, સમાજ અને આપણી રાજ્ય સરકારોએ તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. અમુક લોકો નિરાશાવાદી છે, દેશને પાછળ ધકેલવા માગે છે, તેમનાથી બચીને રહેજો. સમાન નાગરિક સંહિતા વિશે બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશમાં એક સેક્યુલર સિવિલ કોડ જરૂરી છે.
આપણા દેશમાં સુપ્રીમ કોર્ટે વારંવાર યુનિફોર્મ સિવિલ કૉડ અંગે ચર્ચા કરી છે. આપણો દેશનો એક વર્ગ માને છે અને તેમાં સત્ય પણ છે કે, જે સિવિલ કૉડને લઈને આપણે જીવી રહ્યા છીએ તે ખરેખર એક રીતે કમ્યુનલ સિવિલ કૉડ છે. ભેદભાવ કરતો સિવિલ કોડ છે. એટલા માટે હવે દેશમાં એક સેક્યુલર સિવિલ કોડ હોવો જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં મહિલા ડોક્ટર દુષ્કર્મ અને હત્યા કેસમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, ‘મહિલાઓ વિરુદ્ધ રાક્ષસી કૃત્ય કરનારાઓને વહેલી તકે સજા મળવી જોઈએ.’ જોકે, તેમણે તેમના ભાષણમાં ક્યાંય પણ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે, ‘બેંકિંગ સેક્ટરમાં જે સુધારો થયો છે. જરા કલ્પના કરો કે અગાઉ બેન્કિંગ સેક્ટરની શું હાલત હતી, ત્યાં કોઈ વિકાસ નહોતો, કોઈ વિસ્તરણ નહોતું, વિશ્વાસમાં કોઈ વધારો નહોતો થતો.
અમે બેન્કિંગ સેક્ટરમાં ઘણા સુધારા કર્યા છે. આજે આપણી બેંકોએ વિશ્વની સૌથી મજબૂત બેંકોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જ્યારે બેંકિંગ મજબૂત બને છે, ત્યારે અર્થતંત્રની મજબૂતાઈ પણ વધે છે. લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આપણા દેશમાં કરોડો લોકોને કોવિડ રસીકરણનું કામ વિશ્વમાં સૌથી ઝડપી ગતિએ થયું. ક્યારેક આતંકવાદીઓ આપણા દેશમાં આવતા હતા અને આપણને મારીને જતા રહેતા હતા. હવે જ્યારે દેશની સેના સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, જ્યારે દેશની સેના એર સ્ટ્રાઈક કરે છે ત્યારે દેશના યુવાનોની છાતી ગર્વથી ફૂલી જાય છે. લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એક સમય હતો કે લોકો દેશ માટે મરવા માટે પ્રતિબદ્ધ હતા. આજનો સમય દેશ માટે જીવવાનો પ્રતિબદ્ધતાનો છે. જો દેશ માટે મર મીટવાની પ્રતિદ્ધતા આઝાદી અપાવી શકે છે તો દેશ માટે જીવવાની પ્રતિબદ્ધતા સમૃદ્ધ ભારત પણ બનાવી શકે છે.
અમારા રિફોર્મ રાજકીય મજબૂરી નથી. અમે નેશનલ ફર્સ્ટના સંકલ્પથી પ્રેરિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધન દરમિયાન કહ્યું કે, આજે શુભ ઘડી છે જ્યારે આપણે દેશની આઝાદી માટે બલિદાન આપનારા આઝાદીના લડવૈયાઓને નમન કરી રહ્યા છીએ. આ દેશ તેમનો આભારી છે. એવા દરેક દેશવાસી પ્રત્યે આપણે આપણો શ્રદ્ધાભાવ વ્યક્ત કરીએ છીએ. દેશને પ્રેરિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે આપણે 40 કરોડ હતા ત્યારે મહાસત્તાને હરાવ્યો હતો, આજે તો આપણે 140 કરોડ થઇ ગયા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આજે આપણે એવા અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીએ છીએ જેમણે આપણને આઝાદ દેશ આપ્યો, અમે આજે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
તાજેતરની કુદરતી આફતને કારણે આપણે ચિંતિત છીએ, ઘણા લોકોએ તેમના પ્રિયજનો, તેમની સંપત્તિ ગુમાવી છે, આપણે તેમની સાથે એકજૂટતાથી ઊભા છીએ. સતત 11મી વખત લાલકિલ્લાની પ્રાચીરથી દેશને સંબોધી રહ્યા છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વજ ફરકાવવા માટે રેમ્પાર્ટ તરફ જશે ત્યારે સ્વદેશી 105 એમએમ લાઇટ ફિલ્ડ ગનથી 21 તોપોની સલામી આપવામાં આવશે. સમારોહમાં લગભગ 6000 વિશેષ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને અટલ ઇનોવેશન મિશન જેવી પહેલ સાથે સંકળાયેલા લોકો, મેરા યુવા ભારતના સ્વયંસેવકો, આદિવાસી સમુદાયના લોકો અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.




