કેન્દ્ર સરકારે પહેલીવાર યુપીએસસી (UPSC)ની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન વખતે તથા પરીક્ષા અને ભરતીના જુદા જુદા તબક્કાઓ દરમિયાન સ્વૈચ્છિક આધારે ઉમેદવારોને વેરિફિકેશન કરાવવા માટે આધાર આધારિત વેરિફિકેશન કરાવવાની મંજૂરી આપી દેવાનો નિર્ણય લીધો છે. આ પગલું એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે, આયોગે ગત મહિને પ્રોબેશનરી આઈએએસ અધિકારી પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરી હતી.
આયોગે યોગ્યતાથી અલગ સિવિલ સેવા પરીક્ષામાં ગરબડ કરવાને લીધે ખેડકર સામે ભવિષ્યમાં કોઈપણ પરીક્ષામાં સામેલ થવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સરકારનું આ પગલું પૂજા ખેડકરના કેસ સાથે જ જોડીને જોવાઈ રહ્યું છે. ખેડકર સામે દિવ્યાંગતા અને અન્ય પછાત વર્ગ કે ઓબીસી (નોન ક્રિમી લેયર) ક્વૉટાનો દુરુપયોગ કરવાનો પણ આરોપ લાગ્યો હતો. ડીઓપીટી મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, યુપીએસસીએ વન ટાઈમ રજિસ્ટ્રેશન પોર્ટલ પર રજિસ્ટ્રેશન વખતે અને પરીક્ષા કે પછી ભરતીના જુદા જુદા તબક્કા દરમિયાન ઉમેદવારોની ઓળખ કરવા માટે સ્વૈચ્છિક આધારના આધારે વેરિફિકેશન કરવાની મંજૂરી આપવામાં આવે છે.



