Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઓલપાડના નઘોઈ ગામમાં મિયાવાકી પદ્ધતિથી હરિયાળું ‘વન કવચ’ ઊભું કરવામાં મહત્વની ભૂમિકા નિભાવતા મહિલા વનરક્ષક

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઓલપાડના નઘોઈ ગામમાં સામાજિક વનીકરણ વિભાગ-સુરત દ્વારા મિયાવાકી પદ્ધતિથી ૧.૫૦ હેકટરમાં વનકવચનું નિર્માણ થયું છે, આ કાર્યમાં મહિલા વનરક્ષક હેતલબેન જાલંધરાએ મહત્વનું યોગદાન આપી ખારાપાટ ધરાવતી ગાંડા બાવળથી ભરેલી જમીન પર ૫૮ જાતિના ૧૫,૦૦૦ વૃક્ષો ઉછેરી મિયાવાકી પદ્ધતિથી વનકવચ બનાવ્યુ છે. પ્રકૃતિની સાથે બાળપણથી અતૂટ લગાવ ધરાવતા અને ઓલપાડ તાલુકામાં વનરક્ષક તરીકે ફરજ બજાવતાં હેતલબેન ભરતભાઈ જાલંધરાએ વનસંરક્ષણનો અનોખો અને સફળ પ્રયોગ કર્યો છે. ઓલપાડ વિસ્તારમાં ‘વન કવચ’ બનાવવું એ પડકારજનક હતું, કારણ કે ખારોપાટ વિસ્તાર હોવાથી વૃક્ષારોપણ અને ઉછેર સરળ ન હતા. હેતલબેનની આગેવાનીમાં ગાંડા બાવળથી છવાયેલી જમીન પરથી બાવળોને સાફ કરીને પાણીના છંટકાવ સાથે વૃક્ષારોપણ માટે તૈયાર કરવામાં આવી.

સુરત, વ્યારા, અંકલેશ્વર અને અન્ય વિસ્તારોમાંથી પ્લાન્ટ્સ એકત્ર કરીને કુલ ૧૫,૦૦૦ જેટલા નાના-મોટા રોપાનું વાવેતર કર્યું છે. વનકવચના નિર્માણ વિશે વનરક્ષક હેતલબેન જાલંધરાએ જણાવ્યું કે, આલોપાડના નોધઈગામમાં વન કવચ બનાવવા માટે મિયાવાકી પદ્ધતિ અપનાવવામાં આવી, જે ઓછી જગ્યામાં વધુ વૃક્ષો ઉછેરવાની જાપાનીઝ ટેક્નોલોજી છે. આ પદ્ધતિ મુજબ, વૃક્ષો નજીક-નજીક વાવવામાં આવતા હોવાથી ઝડપથી ઉછરે છે અને ગીચ જંગલ ઊભું થાય છે. અહિં માત્ર આઠ મહિનામાં ૧.૫૦ હેક્ટર વિસ્તારમાં ૫૮ જાતના ઈમારતી, આયુર્વેદિક, ફળાઉ રોપા મળીને કુલ ૧૫,૦૦૦ જેટલા વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. ટૂંકા ગાળામાં જંગલ ઉભું થતાં પ્રદૂષણ ઘટાડવા, વાતાવરણ શુદ્ધ બનાવવા અને સ્થાનિક લોકોને ઈમારતી તેમજ જલાઉ લાકડાની સુવિધા પૂરી પાડવા ઉપયોગી બનશે.

મૂળ સૌરાષ્ટ્ર્રના અને હાલ સુરત જિલ્લાના કડોદરામાં રહેતા અને ઓલપાડમાં ફરજ બજાવતા હેતલબેને કહ્યું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વનરક્ષક તરીકે પસંદગી થયા બાદ મેં કનકપુર-કનસાડ સચીન ખાતે કારકિર્દીની શરૂઆત કરી. વર્ષ ૨૦૨૦માં ઓલપાડ તાલુકા બદલી થતાં, અહીં ફરજ બજાવવાની તક મળી છે. વન કવચના નિર્માણથી વન્યપ્રાણીઓ અને પક્ષીઓ માટે આરામદાયક આશ્રય અને ખોરાક ઉપલબ્ધ થયો છે. વૃક્ષો નજીક-નજીક વાવવાથી, તેમના મૂળ પરસ્પર એકબીજાને જકડી રાખે છે, જે જમીન ધોવાણ અટકાવવામાં સહાય કરે છે.

આવા વૃક્ષો સીધા સૂર્યપ્રકાશથી પણ રક્ષણ આપે છે. અહીં જૈવ વિવિધતા વિકાસ પામી છે. જંગલની અંદર પ્રવેશ માટે ગેટ, પાથ-વે અને ગઝેબો (શેડ) પણ બનાવાયા છે. આ નાનકડું વન નિર્માણ થતાં, ઓલપાડ અને આજુબાજુના વિસ્તારોના લોકોને રોજગારી મળી છે. વર્તમાન અને નવી પેઢી માટે પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશ આપતાં વનરક્ષક હેતલબેન કહે છે કે, દરેક નાગરિકે ઘરની આજુબાજુ ઓછામાં ઓછું એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ. જેના કારણે પર્યાવરણની જાળવણી થશે. પક્ષીઓના મધુર અવાજથી પરિસર ગુંજી ઉઠશે અને પ્રકૃતિ સાથેનું સહજીવન સુદ્રઢ થશે. તેમણે કહ્યું કે, નઘોઈ ગામનું નાનકડું વન ભવિષ્યમાં પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસે એ દિશામાં પણ કામ ચાલી રહ્યું છે. ઓલપાડના ખારપાટ વિસ્તારમાં આ નવો પ્રયોગ, ગુજરાત માટે પ્રેરણાદાયી સાબિત થશે. આ વિશ્વ વન દિવસ પર, ચાલો આપણે પણ એક વૃક્ષ વાવી પ્રકૃતિની સાથે નાતો મજબૂત બનાવીએ.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!