મનુષ્યના સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો અને ખેત પેદાશમાં આવતા રસાયણોનાં અવશેષોથી બચવા તથા ખેતી પાછળ વધતા જતા ખર્ચને ઘટાડવાના ઉદ્દેશથી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળે ગામે પ્રાકૃતિક ખેતી જાગૃતતા કાર્યક્રમ આજ રોજ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે દેશી ગાયને મહત્વ ગણાવીને ગાયનું ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતીનાં મહત્વના આયામો જેવા કે બીજામૃત, જીવામૃત/ઘનજીવામૃત, મિશ્રપાક/આંતરપાક અને આચ્છાદન વગેરે વિષય ઉપર વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. ઉપરાંત કંડોલપાડાના પ્રગતિશીલ ખેડૂતશ્રી કાંતિભાઈએ સજીવ ખેતી, પ્રાકૃતિક ખેતી તેમજ અવનવા વિવિધ પાકો ખેતીમાં અપનાવીને ખેડૂતને થતા લાભો વિશેના પોતાના અનુભવો કહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલ ખેડૂત મિત્રોને સૂક્ષ્મ પિયત પધ્ધતિ અપનાવે તે માટેની સહાયલક્ષી યોજના અને સૂક્ષ્મ પિયત પધ્ધતિના ફાયદાઓ વિશેની જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી સુરેખાબેન, ગામના આગેવાનો તથા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પ્રાકૃતિક ખેતીમાં મૂંઝવતાં પ્રશ્નોનોની ચર્ચા કરી હતી.
