ભારત, મ્યાનમાર અને તાજિકીસ્તાનમાં ગતરોજ સવારે એક જ કલાકમાં લાગેલા ધરતીકંપના એક પછી એક એમ ચાર ચાર આંચકાઓને ઉત્તર ભારત, મ્યાનમાર તથા તાજિકીસ્તાનમાં અનેક મકાનો ધરાશયી કરી નાખ્યાં હતાં, માર્ગો તોડી નાખ્યા હતા, કેટલીક નદીઓના બંધો પણ તોડી નાખ્યા હતા. તેમાંએ થોડા દિવસો પૂર્વે જ ભૂકંપના આંચકા અનુભવી ગયેલાં મ્યાનમારમાં તો ભારે તબાહી થઈ ગઈ હતી. મ્યાનમારમાં એક બૌદ્ધ મંદિર તો ધ્વંસ થઈ ગયું હતું. પરંતુ ભગવાન બુદ્ધની મૂર્તિને ઊની આંચ આવી ન હતી. 
આંચકાઓ શમ્યા પછી અનેક લોકો ભગવાન બુદ્ધની મૂર્તિનાં દર્શને ઊમટયા હતાં. ઉત્તર ભારતના હિમાલયને સ્પર્શીને રહેલા વ્યાપક વિસ્તારોમાં ભૂકંપ અનુભવાઓ હતો. તેટલું જ નહીં પરંતુ પાટનગર દિલ્હી અને નેશનલ કેપિટલ રીજીયને પણ ધૂ્રજારીઓ અનુભવી હતી. સહજ છે કે, ધરતીકંપ શરૂ થતાં જ તે ત્રણે દેશોમાં લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં અને અસામાન્ય ગરમીને લીધે કેટલાયે ઝાડની નીચે આશ્રય મેળવતા હતા.
ધરતી કંપ થવાનું કારણ દક્ષિણની ટાઇટેનિક પ્લેટ ઉત્તરની હિમાલયન ટાઇટેનિક પ્લેટ સાથે અથડાઈ હોવાનું ભૂસ્તરશાસ્ત્રીઓ જણાવે છે. ભારતમાં રવિવારે સવારે ૯ વાગે હિમાચલ પ્રદેશનાં મંડીમાં માત્ર ૩.૪ અંકનો જ પહેલો આંચકો લાગ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે તે કંપનનું કેન્દ્ર બિંદુ ૩૧.૪૯ ડિગ્રી નોર્થ, અને ૭૬.૯૪ ડીગ્રી ઈસ્ટમાં માત્ર પાંચ જ કિ.મી.ની ઊંડાઈએ હતું. આ ધરતીકંપ હળવો હોવા છતાં, લોકો ઘરની બહાર નીકળી ગયાં હતાં. રવિવાર હોવાથી ઓફીસો તો બંધ હતી. આ હળવા ભૂકંપ પછી તુર્ત જ મ્યાનમાર, મધ્ય મ્યાનમારનાં મૈકટિલામાં ૫.૫નો ભૂકંપ નોંધાયો હતો.



