ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું છે. મણિપૂરમાં વરસાદે તબાહી મચાવી છે. પૂરની સ્થિતિમાં 19 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ સત્તાવાર માહિતી આપી છે. અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા ચાર દિવસમાં સતત વરસી રહેલા અનારાધાર વરસાદનાં કારણે પૂર આવતાં 32 લોકોનાં મોત થયા છે, 3365 ઘર તણાયા છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઈમ્ફાલનાં પૂર્વીય જિલ્લામાં અનેક રાહત શિબિર કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. વરસાદનાં કારણે મણિપૂરના સેનાપતિ જિલ્લાની સાથે સાથે ઈમ્ફાલના પૂર્વીય જિલ્લા હિનગાંગ, વાંગખેઈ અને ખુરઈ વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ નુકસાન થયું છે. તદુપરાંત આસામ, સિક્કમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને મણિપૂરમાં પણ મૂશળધાર વરસાદ, પૂર, અને ભૂસ્ખલનના કારણે અનેક મોત થયા છે. 
અનેક લોકો ઘાયલ થયા છે. સિક્કિમમાં ફસાયેલા પર્યટકોને પોલીસ, સ્થાનિકો, વન કર્મીઓ અને લાચુંગ હોટલ એસોસિએશન દ્વારા બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 32 લોકોના મોત થયા છે. લાચુંગ હોટલ એસોસિએશનના અધ્યક્ષ ગ્યાત્સો લાચુંગપા સ્થાનિક પ્રશાસનના સહયોગમાં અટવાયેલા લોકોને બહાર સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા છે. અરૂણાચલ પ્રદેશમાં સેનાએ અત્યાર સુધીમાં ભારે વરસાદમાંથી 14 લોકોને બચાવ્યા છે. અનેક રસ્તાઓ, ગામડાંઓમાં પાણી ફરી વળતાં ભારતીય વાયુ સેના (IAF)એ બચાવ કામગીરી હાથ ધરવી પડી છે.
જેમાં અરૂણાચલ પ્રદેશના નીચાણવાળા વિસ્તાર દિબાંગ ખીણમાં પૂરગ્રસ્ત બોમઝીર નદીમાં ફસાયેલા 14 લોકોને બચાવવામાં આવ્યા છે. ગુવાહાટીના રક્ષા જનસંપર્ક અધિકારી અનુસાર, આસામ અને અરૂણાચલ પ્રદેશની રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે બચાવ અભિયાન શરૂ કર્યા છે. તેમજ લોકોને નીચાણ વાળા વિસ્તારમાં ન જવા આદેશ આપવામાં આવ્યો છે. ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં મૂશળધાર વરસાદના કારણે સર્જાયેલા વિનાશક પૂરમાં 32 લોકોના મોત અને અનેક ગુમ થયા છે. સેપ્પા પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં હાઈવે પર પૂરના કારણે સાત લોકોના મોત થયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે. આઈએએફએ એમઆઈ-17 હેલિકોપ્ટરની મદદથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશ માટે 6 જૂન સુધી રેડ એલર્ટ જારી કર્યું છે. છ જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે.



