વ્યારાનાં જેસીંગપુરા ગામે વીજ કરંટ લાગવાને કારણે માતા અને પુત્રીના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી પ્રમાણે, વ્યારા તાલુકાનાં જેસીંગપુરા ગામનાં ગોદી ફળિયામાં રહેતા ૫૮ વર્ષીય કૈલાશબેન ગામીત અને તેમની ૩૫ વર્ષીય દિકરી ધનગૌરીબેન ગામીત કપડા સુકવવા જતા મોતને ભેટ્યા હતાં.
બનાવની વિગત એવી છે કે, પોતાના ઘરમાં ઢોર બાંધવા માટેના કોઢારના છતમાં લગાવેલી લોખંડની પાઇપ સાથે લોખંડનો તાર બાંધેલો હતો. આ લોખંડના પાઇપ સાથે બીજો એક આડો લોખંડનો પાઇપ લગાડેલો હતો, આ પાઇપમાં પંખો લગાવેલો હતો, પંખાના વાયર માંથી આકસ્મિક રીતે કરંટ તારમાં ઉતરતા કપડા સુકવવા જતાં માતા અને દિકરી બંન્નેને વીજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું. માતા પુત્રીના મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. ઘટના બાદ બંનેના મૃતદેહને વ્યારા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યાં હતા.
