એર ઈન્ડિયાનું વિમાન નવી દિલ્હી એરપોર્ટથી લંડન માટે ઉડાન ભરવાનું હતું પણ તેમાં ટેક્નિકલ ખામી સર્જાવવાના કારણે વિમાનની ઉડાન કેન્સલ કરવામાં આવી છે. એર ઈન્ડિયાના એક પ્રવક્તાએ જણાવ્યું કે 31 જુલાઈએ દિલ્હીથી લંડન જનારી ફ્લાઈટમાં શંકાસ્પદ ટેક્નિકલ સમસ્યા સર્જાવવાના કારણે ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે.
કોકપિટ ક્રૂએ મેનેજમેન્ટ સંચાલનની પ્રક્રિયાઓનું પાલન કરતા ઉડાનને રોકવાનો નિર્ણય લીધો અને વધુ તપાસ માટે વિમાનને પરત લાવવામાં આવ્યું. એર ઈન્ડિયા તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે મુસાફરોને ઝડપી જ લંડન લઈ જવા માટે એક વૈકલ્પિક વિમાન તૈનાત કરવામાં આવી રહ્યું છે.
અમારો ગ્રાઉન્ડ સ્ટાફ આ સમસ્યાના કારણે સર્જાયેલી અસુવિધાને ઓછી કરવા માટે મુસાફરોને દરેક પ્રકારની મદદ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી એર ઈન્ડિયા જ નહીં પણ ઘણી વિમાનની કંપનીઓની ફ્લાઈટમાં સમસ્યાઓ સામે આવી રહી છે. ઘણા વખત ઉડાનને રદ પણ કરવામાં આવી રહી છે.
21 જુલાઈ સુધીમાં 180થી વધારે વખત પ્લેનમાં ટેક્નિકલ ખામીઓ સર્જાઈ : એર ઈન્ડિયા સહિત ઈન્ડિગોની ફ્લાઈટમાં સમસ્યા આવી ચૂકી છે. એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ પણ કરાવવામાં આવ્યું છે. તાજેત્તરમાં જયપુરથી મુંબઈ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી આવી હતી. ત્યારે પણ ઉડાનની 18 મિનિટ બાદ જ પ્લેનને પરત લાવવામાં આવ્યું હતું. 21 જુલાઈ સુધીમાં એરલાઈનમાં 180થી વધારે ટેક્નિકલ ખામીઓ સર્જાઈ, ત્યારે કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે 5 એરલાઈન્સે 21 જુલાઈ સુધી 183 ટેક્નિકલ ખામીની સૂચના આપી હતી. જેમાં 85 એર ઈન્ડિયા, 62 એર ઈન્ડિયા એક્સપ્રેસ, 62 ઈન્ડિગો, 28 અકાસા એર અને 8 સ્પાઈટજેટના વિમાન સામેલ હતા.




