ઉત્તર પ્રદેશમાં મકરસંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 15 જાન્યુઆરી, 2026ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટ અને રાજ્યભરની તમામ જિલ્લા અદાલતોમાં રજા જાહેર કરી છે. આ રજા અલ્હાબાદ હાઈકોર્ટની મુખ્ય અદાલત પ્રયાગરાજ તેમજ લખનૌ બેન્ચ બંને પર લાગુ પડશે. રજાને લઈને હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા સત્તાવાર સૂચના પણ જારી કરવામાં આવી છે.
હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 14 જાન્યુઆરી, 2026ના રોજ (બુધવાર) અદાલતો સામાન્ય રીતે કાર્યરત રહી હતી. જ્યારે 15 જાન્યુઆરીના રોજ એટલે કે આજે મકરસંક્રાંતિ નિમિત્તે સંપૂર્ણ રજા રહેશે. જિલ્લા અદાલતો માટે પણ આ જ નિયમ લાગુ રહેશે. જોકે, જિલ્લા ન્યાયાધીશોને આ રજાના બદલે કોઈપણ ચોથા શનિવારને કાર્યકારી દિવસ તરીકે જાહેર કરવાની છૂટ આપવામાં આવી છે, જેથી ન્યાયિક કાર્યમાં વિલંબ ન થાય.
આ ઉપરાંત, અલ્હાબાદ હાઈકોર્ટ મધ્યસ્થી કેન્દ્ર (Mediation Centre) માટે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી સોમવારને સાપ્તાહિક રજા રાખવામાં આવતી હતી, પરંતુ હવે તે બદલીને રવિવાર કરવામાં આવી છે. આ નિર્ણય પણ રજિસ્ટ્રાર જનરલની સૂચનાના માધ્યમથી જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે અગાઉ 17 નવેમ્બર, 2025ના રોજ જારી કરાયેલા રજાના સમયપત્રકમાં આ ફેરફાર અંગે સુધારો કર્યો છે. મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે મકરસંક્રાંતિની તારીખને લઈને થયેલી ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. માઘ માસની કૃષ્ણ પક્ષની એકાદશી 14 જાન્યુઆરીએ આવતી હોવાથી પરંપરા મુજબ આ દિવસે ચોખા અને ખીચડીના દાન પર રોક હોય છે. ધાર્મિક વિદ્વાનોના મત અનુસાર મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવી યોગ્ય ગણાઈ છે.
આ નિર્ણય બાદ રાજ્યભરની તમામ સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો, બેંકો અને ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની શાખાઓ પણ 15 જાન્યુઆરી, 2026ના રોજ બંધ રહેશે. નાણાકીય સંસ્થાઓ અને સંબંધિત વિભાગોને આ બાબતની સત્તાવાર જાણ કરવામાં આવી છે. આમ, મકરસંક્રાંતિ પર્વ રાજ્યભરમાં રજા સાથે શાંતિપૂર્ણ રીતે ઉજવાશે.




