નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ’ના જોખમને નાથવા માટે ભારત સરકારે અભૂતપૂર્વ કડક વલણ અપનાવ્યું છે. અત્યાર સુધી સાયબર ગુનેગારો નવા સિમ કાર્ડ કે એકાઉન્ટ બદલીને ઠગાઈ ચાલુ રાખતા હતા, પરંતુ હવે સરકાર સીધા તેમના મોબાઈલ ડિવાઈસ (ID) પર જ પ્રતિબંધ મૂકવાની વ્યૂહરચના અમલી બનાવી રહી છે. ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત I4C (ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર) ના રિપોર્ટને આધારે વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સને ઠગાઈ માટે વપરાતા ઉપકરણોને કાયમી ધોરણે બ્લોક કરવા આદેશ અપાયા છે.
જેમ નાગરિકની ઓળખ ‘આધાર’ છે, તેમ દરેક ડિજિટલ ગેજેટની પોતાની યુનિક ઓળખ હોય છે. જેમાં IMEI નંબર-મોબાઈલ નેટવર્ક ઓળખ માટે,MAC એડ્રેસ-વાઈફાઈ કનેક્ટિવિટી માટે તેમજ સીરીયલ નંબર-કંપની દ્વારા અપાતો વિશિષ્ટ નંબર.એકવાર આ આઈડી બ્લોક થઈ ગયા પછી, સ્કેમર્સ તે જ મોબાઈલ કે લેપટોપથી વોટ્સએપ કે અન્ય કોઈ એપનો ઉપયોગ કરી શકશે નહીં. વધુમાં, તપાસ એજન્સીઓની સુવિધા માટે ડિલીટ થયેલા એકાઉન્ટનો ડેટા 180 દિવસ સુધી સાચવી રાખવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
આ એક માનસિક છેતરપિંડી છે જેમાં ગુનેગારો પોલીસ, CBI કે કસ્ટમ ઓફિસરનો સ્વાંગ રચી વીડિયો કોલ કરે છે. પીડિતને ગેરકાયદેસર પાર્સલ કે ડ્રગ્સના કેસમાં ફસાવવાની ધમકી આપી કલાકો સુધી કેમેરા સામે ‘ડિજિટલ અટકાયત’માં રાખવામાં આવે છે અને કેસ પતાવવા લાખોની ખંડણી માંગવામાં આવે છે.ભારત સરકારના કાયદામાં ‘ઓનલાઇન ધરપકડ’ જેવી કોઈ જોગવાઈ નથી. સાચી પોલીસ ક્યારેય વોટ્સએપ પર તપાસ કે પૈસાની લેવડદેવડ કરતી નથી.અજાણ્યા નંબર પરથી આવતા વીડિયો કોલથી ગભરાવું નહીં.બેંક વિગતો, OTP કે અંગત માહિતી ક્યારેય શેર ન કરવી.કોઈ ધમકાવે તો તાત્કાલિક કોલ કાપી નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.સાયબર ફ્રોડની ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર 1930 અથવા ‘સંચાર સાથી’ પોર્ટલનો ઉપયોગ કરવો.



