
છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ શ્રદ્ધા કેન્દ્ર ખલ્લારી માતાના મંદિરે રવિવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ચૈત્ર નવરાત્રીના પવિત્ર દિવસોમાં જ્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા હતા, ત્યારે પહાડી પરથી નીચે ઉતરી રહેલા રોપ-વેનો તાર અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં રાયપુરની 28 વર્ષીય આયુષી સાતકારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 7 મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ છે.
રવિવારે સવારે અંદાજે 10:00 વાગ્યે જ્યારે શ્રદ્ધાળુઓ દર્શન કરીને રોપ-વે દ્વારા નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે અચાનક ટ્રોલીનો મુખ્ય તાર તૂટી ગયો હતો. ટ્રોલી પહાડીની વચ્ચેથી સીધી પથ્થરો પર પટકાતા ચીસાચીસ મચી ગઈ હતી. ટ્રોલીમાં સવાર આઠ લોકોમાંથી આયુષી નામની યુવતીનું મૃત્યુ થયું હતું. અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ ગંભીર હાલતમાં રાયપુર રિફર કરવામાં આવ્યા છે.
આ દુર્ઘટનાની ગંભીરતાને જોતા છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયે સોશિયલ મીડિયા ‘X’ દ્વારા શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, “ખલ્લારી માતાના મંદિરે થયેલો અકસ્માત અત્યંત પીડાદાયક છે. તંત્રને ઈજાગ્રસ્તોની યોગ્ય સારવાર માટે સૂચના આપવામાં આવી છે.”મુખ્યમંત્રીએ આ મામલે મેઇન્ટેનન્સ અને સુરક્ષામાં થયેલી બેદરકારી અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.




