મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાની હરસુંડલ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પિતાના અવસાન બાદ વારસાઈ જમીનમાં નામ દાખલ કરવા જેવી કાયદેસરની કામગીરી માટે લાંચની માંગણી કરનાર તલાટી કમ મંત્રી અને વી.સી.ઇ. (VCE) ને મહેસાણા એસીબીએ રૂ.૧૦ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.
આ કેસની વિગત મુજબ, ફરિયાદીના પિતાના અવસાન બાદ તેમની વડિલોપાર્જિત જમીનમાં ફરિયાદી તથા તેમના પરિવારના સભ્યોના નામ ખાતામાં દાખલ કરવાના હતા. આ કામ માટે હરસુંડલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વિવેકભાઇ કિરીટભાઇ ચૌધરી અને વી.સી.ઇ. વિશાલકુમાર સેંધાજી ઠાકોર દ્વારા એક ખાતા દીઠ રૂ.૪ હજાર લેખે કુલ ત્રણ ખાતાના રૂ.૧૨ હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી.
ફરિયાદી આ લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે મહેસાણા એસીબી નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીની ટીમે તારીખ ૨૦/૦૪/૨૦૨૬ના રોજ હરસુંડલ ગ્રામ પંચાયત કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.આયોજન મુજબ, ફરિયાદી જ્યારે કચેરીએ પહોંચ્યા ત્યારે બંને આરોપીઓએ હેતુલક્ષી વાતચીત કરી હતી. રકઝકના અંતે રૂ.૧૦ હજાર લેવાનું નક્કી થયું હતું. જેવું આરોપી વી.સી.ઇ. એ લાંચની રકમ સ્વીકારી, કે તરત જ પૂર્વતૈયારી સાથે ઉભેલી એસીબીની ટીમે ત્રાટકીને બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.એસીબીએ લાંચની રૂ.૧૦ હજારની પૂરેપૂરી રકમ રિકવર કરી છે અને બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




