તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે આજે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ વ્યારાના વોર્ડ નમ્બર ૪ માં આવેલી દક્ષિણાપથ વિદ્યાલય ખાતે પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. એક જાગૃત નાગરિકની જેમ તેઓ પણ સામાન્ય મતદારોની કતારમાં ઉભા રહ્યા હતા અને લોકશાહીના પર્વમાં સહભાગી થયા હતા.
મતદાન બાદ માધ્યમો સાથેની વાતચીતમાં ડૉ. તુષાર ચૌધરીએ વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચૂંટણી પ્રક્રિયામાં વહીવટીતંત્રના દુરુપયોગ અંગે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ઉમેદવારોને ડરાવી-ધમકાવીને ફોર્મ ખેંચાવી લેવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે હરીફ ઉમેદવારોને ચૂંટણી અધિકારી પાસે લઈ જઈને બળજબરીથી ફોર્મ પરત ખેંચાવાયા હોવાની ઘટનાઓ લોકશાહી માટે ઘાતક છે.
ડૉ. ચૌધરીએ સવાલ ઉઠાવ્યો હતો કે, “આટલી પ્રચંડ બહુમતી હોવાનો દાવો કરતી સરકાર આખરે ચૂંટણીથી કેમ ડરી રહી છે? કેમ આટલી ઉતાવળમાં ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવા સરકાર મથી રહી છે?” તેમણે ઉમેર્યું કે સરકારના પાયા હચમચી ગયા છે અને જનતાનો રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અંગે આશાવાદ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે “મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત પ્રજા હવે પરિવર્તનના મૂડમાં છે. ૨૮ તારીખે જે પરિણામો આવશે તે આશ્ચર્યજનક હશે. કોંગ્રેસ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શ્રેષ્ઠ દેખાવ કરશે અને જનતાના આશીર્વાદથી વિજયી બનશે.”




