પ્રથમ વખત નીટ-યુજી પરીક્ષાનું પેપર લીક થઇ જતા ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. એવામાં હાલ સરકાર દ્વારા તારીખ 21 જુનના રોજ ફરીથી NEET-UG પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. એટલુ જ નહીં પરીક્ષાનો સમયગાળો પણ 15 મિનિટ વધારવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યું છે કે, આવતા વર્ષથી NEET-UGની પરીક્ષા સંપૂર્ણ રીતે કમ્પ્યુટર આધારિત ઓનલાઈન લેવાશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સ કરીને NEET પરીક્ષા અંગે વિવિધ જાહેરાતો કરી હતી, તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને NEET પરીક્ષાનું પેપર રદ કરવાનો નિર્ણય લેવો પડયો હતો. આ મામલે સરકાર ચિંતિત છે, વિદ્યાર્થીઓ પ્રત્યે અમારી પુરી સંવેદના છે. 
આગામી વર્ષથી NEET-UGની પરીક્ષા પેન-પેપર આધારિત ઓએમઆર શીટ્સ નહીં પરંતુ કમ્પ્યુટર આધારિત રહેશે. જેથી પરીક્ષામાં નકલ કરવી કે અન્ય કોઇ પણ પ્રકારની છેતરપિંડીને રોકી શકાશે. શિક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે પરીક્ષા કેન્સલ કરવાની જાણકારી આપવામાં આવી હતી ત્યારે જ વિદ્યાર્થીઓની ફી પરત આપવા અંગે પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી. હવે જુનમાં ફરી પરીક્ષા યોજાવા જઇ રહી છે તેમાં કોઇ જ ફી નહીં આપવી પડે. પેપર બપોરે 2 વાગ્યે શરૂ થશે અને 5.15 સુધી ચાલશે.
ફરી પરીક્ષા માટેના એડમિટ કાર્ડ 14 જુન સુધીમાં જારી કરી દેવામાં આવશે. વિદ્યાર્થીઓને પરીક્ષાના એક સપ્તાહ અગાઉ સુધીમાં સ્થળ પસંદ કરવાની છૂટ મળશે. જે પરીક્ષા રદ થઇ તેની ફી વિદ્યાર્થીઓને પરત મળશે, જ્યારે હવે 21મીએ જે પરીક્ષા યોજાવા જઇ રહી છે તેની કોઇ ફી નહીં લેવાય. ફરી જે પરીક્ષા યોજાવા જઇ રહી છે તેના પરિણામ ક્યારે જાહેર કરાશે તે અંગે સ્પષ્ટતા કરવામાં નથી આવી. તારીખ 3 મે નારોજ નીટની પરીક્ષા યોજાઇ હતી જેમાં 22 લાખ ઉમેદવારો જોડાયા હતા, જોકે પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરી દેવાઇ હતી. અત્યાર સુધી NEETની પરીક્ષા પેન-પેપર આધારિત ઓએમઆર શીટ્સથી લેવાય છે.
હવે જ્યારે NEET-UGની પરીક્ષા કમ્પ્યુટર આધારિત થવા જઇ રહી છે ત્યારે સાઇબર એટેક પણ એક મોટો પડકાર હોવાનું કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું છે. બીજો મોટો પડકાર કમ્પ્યુટર આધારિત ટેસ્ટિંગની સુવિધાઓનો છે, NEET દેશની સૌથી મોટી પરીક્ષા માનવામાં આવે છે જેમાં આ વખતે 22 લાખ વિદ્યાર્થીઓ જોડાયા હતા. હાલની પરિસ્થિતિ મુજબ એક સમયે માત્ર 1.5 લાખ વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે, તેથી જો કમ્પ્યુટર આધારિત પરીક્ષા યોજવામાં આવે તો તેમાં જુદી જુદી શિફ્ટનો સહારો લેવો પડશે. ઘણા કમ્પ્યુટર પરીક્ષા કેન્દ્રો ખાનગી છે તેથી સુરક્ષા મુદ્દે પણ વધુ તકેદારી રાખવી પડશે.(ફાઈલ ફોટો)



