રાજસ્થાન હાઈકોર્ટે જોધપુર આશ્રમમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં સજા કાપી રહેલા આસારામની આજીવન કેદની સજાને યથાવત રાખી છે. હાઈકોર્ટે તેમને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે અને તાત્કાલિક કોર્ટ સમક્ષ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર પીઠના જસ્ટિસ અરુણ મોંગા અને જસ્ટિસ યોગેન્દ્ર કુમાર પુરોહિતની ડિવિઝન બેન્ચે આસારામ સહિત ત્રણ આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર આ ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, સગીરા સાથે દુષ્કર્મના મામલામાં નીચલી અદાલતે ફટકારેલી ઉમ્રકેદની સજામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. 
કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, ઉપલબ્ધ પુરાવાઓના આધારે ગેંગરેપની કલમ હેઠળ ગુનો સાબિત થતો નથી, તેથી આસારામને તે ચોક્કસ આક્ષેપમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જોકે, અન્ય ગંભીર કલમો હેઠળના ગુનાઓ પૂરતા પ્રમાણમાં સાબિત થતા હોવાથી તેમની મુખ્ય સજા અકબંધ રાખવામાં આવી છે. આ કેસના અન્ય સહ-આરોપીઓ શિલ્પી અને શરતચંદની અપીલ પર પણ કોર્ટે ચુકાદો આપ્યો છે, જેમાં તેમને સજામાં આંશિક રાહત મળી છે. વર્ષ 2013માં જોધપુરના આશ્રમમાં એક સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ કરવાનો આસારામ પર આરોપ લાગ્યો હતો. પોલીસ તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને લાંબી સુનાવણી બાદ વર્ષ 2018માં સ્પેશિયલ કોર્ટે આસારામને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, આસારામ હાલમાં પેરોલ પર જેલની બહાર છે, પરંતુ હાઈકોર્ટના આ તાજા આદેશ બાદ તેમણે ફરી જેલ ભેગા થવું પડશે.



