નવી દિલ્હી : પરીક્ષાઓ અને ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ તથા પેપર લીકના મુદ્દે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ વધુ તેજ બની રહી છે. કોક્રોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકેએ જાહેરાત કરી છે કે જો 13 જૂન સુધીમાં ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવશે.
તાજેતરમાં નવી દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ કાર્યક્રમ બાદ દિપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે અગાઉ જાહેર કરેલા અલ્ટીમેટમ મુજબ જો નિર્ધારિત સમયમર્યાદા સુધી રાજીનામું નહીં મળે તો આંદોલનને વધુ વ્યાપક સ્વરૂપ આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે તેઓ વ્યક્તિગત રીતે અલગ-અલગ રાજ્યો અને શહેરોની મુલાકાત લઈને વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેશે.દિપકેએ વધુમાં જણાવ્યું કે જો રાજ્યસ્તરના વિરોધો બાદ પણ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો દેશભરના વિદ્યાર્થીઓને નવી દિલ્હીમાં એકત્રિત કરીને ફરીથી શાંતિપૂર્ણ આંદોલન હાથ ધરવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ આ સમગ્ર અભિયાનનો હેતુ પરીક્ષા અને ભરતી પ્રણાલીમાં પારદર્શિતા તથા જવાબદારીની માંગણી કરવાનો છે.નેપાળ અને બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા યુવા વિરોધ પ્રદર્શનો અંગે પૂછવામાં આવતા દિપકેએ સ્પષ્ટ કર્યું કે CJPનું આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે અને તેની તુલના પડોશી દેશોમાં થયેલા આંદોલનો સાથે કરવી યોગ્ય નથી. તેમણે દાવો કર્યો કે CJP ખાસ કરીને જનરેશન Z (Gen Z)ના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને કાર્યરત છે અને તેનો કોઈ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી.
ઉલ્લેખનીય છે કે કોક્રોચ જનતા પાર્ટી છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા મારફતે યુવાનોમાં લોકપ્રિય બની રહી છે. સંગઠનના ઇન્સ્ટાગ્રામ પર કરોડો અનુયાયીઓ હોવાનું જણાવવામાં આવે છે. શનિવારે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા, જેમાં કેટલાક પ્રદર્શનકારીઓએ કોક્રોચ માસ્ક પહેરીને અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરતા પોસ્ટરો સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.આંદોલન હવે આગામી દિવસોમાં કઈ દિશામાં આગળ વધે છે અને કેન્દ્ર સરકાર તરફથી શું પ્રતિસાદ મળે છે તેના પર સૌની નજર મંડાઈ છે.



