જનતાની સેવાના શપથ લઈને ભ્રષ્ટાચારના કાદવમાં ખરડાયેલા સરકારી બાબુઓ પર એસીબીએ ફરી એકવાર સકંજો કસ્યો છે. આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (RAC) અને હાલ ફરજ મોકૂફી હેઠળ રહેલા વર્ગ-૧ ના સિનિયર સ્કેલના મહિલા અધિકારી કેતકીબેન વ્યાસ વિરૂદ્ધ એસીબીએ રૂ.૩,૫૬,૦૩,૯૧૦/- ની અપ્રમાણસર મિલકત વસાવવાનો ગુનો નોંધીને કાયદાનો કોરડો ઝીંક્યો છે.
એસીબીની તપાસમાં સામે આવ્યું છે કે, વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૩ ના ૧૧ વર્ષના સમયગાળા દરમિયાન કેતકીબેન વ્યાસે પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો સરેઆમ દુરઉપયોગ કર્યો હતો. કાયદેસરની આવકથી ધર ધરાઈ ન હોય તેમ, તેમણે ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતરસમો અપનાવીને પોતાની કાયદેસરની આવક કરતાં ૬૮.૮૪% જેટલી અધધ અપ્રમાણસર મિલકત એકત્ર કરી હતી. આ પાપની કમાણી તેમણે પોતાના અને પરિવારજનોના નામે સ્થાવર તથા જંગમ મિલકતોમાં રોકીને ઠાઠ જમાવ્યો હતો. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને અમદાવાદ એસીબીએ હવે આ મામલે કડક તપાસ શરૂ કરી છે. સત્તાની ખુરશી પર બેસીને સરકારી તિજોરી અને જનતાને લૂંટનારા આવા ભ્રષ્ટાચારીઓ સામે એસીબીની આ કાર્યવાહી અન્ય લાંચિયા બાબુઓ માટે લાલબત્તી સમાન છે.



