અમદાવાદ: ગુજરાત ફરી એકવાર આંતરરાષ્ટ્રીય રમતગમતના કેન્દ્ર તરીકે ચર્ચામાં છે. નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સ-વિન્ડો 3નો પ્રારંભ થયો છે. આ ટૂર્નામેન્ટ હેઠળ ભારતીય પુરુષ બાસ્કેટબોલ ટીમે 2 જુલાઈએ કતાર સામે પોતાના અભિયાનની શરૂઆત કરી છે, જ્યારે 5 જુલાઈએ લેબનોન સામે મહત્વપૂર્ણ મુકાબલો રમશે.
આ બંને મેચો ભારત માટે વર્લ્ડ કપ ક્વોલિફિકેશનની દૃષ્ટિએ અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે. ભારતીય ટીમ હાલમાં યુવા ખેલાડીઓને તક આપીને પુનઃગઠનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. હેડ કોચ સ્કોટ ફ્લેમિંગના માર્ગદર્શન હેઠળ ટીમ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહી છે.તાજેતરની FIBA રેન્કિંગ મુજબ ભારત વિશ્વમાં 76મા અને એશિયામાં 14મા ક્રમે છે. હોમ ગ્રાઉન્ડનો લાભ અને સ્થાનિક દર્શકોનો ઉત્સાહ ટીમ માટે મહત્વનો સાબિત થઈ શકે છે. ભારતીય ટીમમાં કન્વર સંધુ, પ્રણવ પ્રિન્સ, પ્રિન્સપાલ સિંઘ અને હર્ષ ડાગર જેવા પ્રતિભાશાળી ખેલાડીઓનો સમાવેશ થાય છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, અમદાવાદ સતત આંતરરાષ્ટ્રીય રમતગમતના મોટા આયોજનોનું સફળ આયોજન કરીને દેશના અગ્રણી ‘સ્પોર્ટ્સ હબ’ તરીકે ઉભરી રહ્યું છે. તેમણે યાદ અપાવ્યું કે, થોડા દિવસો પહેલાં જ અમદાવાદમાં AVC મેન્સ વોલીબોલ કપ 2026નું સફળ આયોજન થયું હતું અને હવે FIBA જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનું આયોજન રાજ્યના વિશ્વસ્તરીય રમતગમત માળખા અને સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સતત યોજાઈ રહેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓથી રાજ્યમાં રમતગમત પ્રત્યેનું વાતાવરણ વધુ મજબૂત બનવાની સાથે ખેલાડીઓને પણ વૈશ્વિક સ્તરની સ્પર્ધાઓનો અનુભવ મળી રહ્યો છે. બાસ્કેટબોલ પ્રેમીઓ મોટી સંખ્યામાં ભારતીય ટીમને પ્રોત્સાહન આપવા પહોંચે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.




