ગાંધીનગરનાં માણસા તાલુકાનાં લાકરોડા ગામે નવાઘર પ્રજાપતિવાસ સામે રહેતા અને ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિજયસિંહ કાળુસિંહ ચાવડા પોતાની ઇકો કાર લઈ સવારે લોદરા ચોકડીથી પેસેન્જર બેસાડી ગાંધીનગર ગયા હતા અને ત્યાંથી વિજાપુર આવી સાંજે બીજા મુસાફરોને બેસાડી ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા.
ત્યારે મોડી સાંજે આશ્રમ ચોકડીથી પુંધરા ગામ નજીક પહોંચ્યા તે વખતે તેમની ગાડીની સામે એક સફેદ કલરની ઇકો ઉભી રહી હતી અને તેમાંથી રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાઠોડ (રહે.અનોડીયા), જીતેન્દ્રસિંહ બાલુસિંહ રાઠોડ (રહે.અનોડીયા), પ્રવિણસિંહ પરબતસિંહ રાઠોડ (રહે.મહુડી) અને ધર્મેન્દ્રસિંહ નામના ચાર ઇસમો આવ્યા હતા અને વિજયસિંહ ને કહેવા લાગ્યા હતા કે, અમે તમને આ રોડ પર ગાડી ચલાવવાની ના પાડી છે તેમ છતાં કેમ અહીં ગાડી લઈને ફરો છો તેવું કહેતા યુવકે જણાવ્યું હતું કે હું મારા કાયમી પેસેન્જરોને લેવા મુકવા માટે જઉં છું તેવું કહેતા ઉશ્કેરાયેલા આ ચારેય શખ્સોએ ગાળા ગાળી કરી વિજયસિંહને ગડદાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત તેમની ઇકો કારનો ડ્રાઇવર સાઈડનો કાચ પણ ધોકો મારી તોડી નાંખ્યો હતો. બનાવ અંગે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપવામાં આવી હતી.




