ગીરનાં જંગલમાં સિંહના અકુદરતી મોત અટકાવા આખરે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પીપાવાવ-લીલીયા વચ્ચે દોડતી માલગાડીઓની ઝડપ ઘટાડાશે. ટ્રેનની ઝડપ 100 નાં બદલે 40 કિ.મી. પ્રતિ કલાક કરવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેકની બંને બાજુ સોલાર એલઈડી લાઈટ લગાવવાનો નિર્ણય પણ બેઠકમાં કરવામાં આવ્યો છે. હાઈકોર્ટની ફટકાર બાદ રેલવે વિભાગની મહત્વની બેઠક મળી હતી. ટ્રેન હડફેટે સિંહોના કમોત થવાનો મામલે હાઇકોર્ટે રેલવે અને વનવિભાગને એસઓપી બનાવવા આદેશ કર્યો છે. જે અંતર્ગત જૂનાગઢ ખાતે રેલવે અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેલવેના ડી.આર.એમ. અને વન વિભાગના સીસીએફ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ રેલવેના ટ્રેક જંગલના રાજ સિંહો માટે ગોઝારા સાબિત થઈ રહ્યાં છે. અનેક સિંહોએ આ ટ્રેક પર જીવ ગુમાવ્યા છે. ત્યારે હવે પીપાવાવ લીલીયા વચ્ચે દોડતી ટ્રેનોની સ્પીડ ઓછી કરાઈ છે. હવે અહીં ટ્રેનો 100ને બદલે હવે 40 કિ.મી.ની સ્પીડે ચાલશે. ઉલ્લેખનીય છે કે, પીપાવાવ લીલીયા રેલ્વે ટ્રેક પર 24 કલાકમાં 25 જેટલી ટ્રેનોની અવરજવર થાય છે. આજ સુધી આ રુટ પર 70 થી લઈ 100ની સ્પીડે તમામ ટ્રેનો દોડાવાઈ રહી હતી. પરંતું નવા નિર્ણય મુજબ, હવે 100 કીમી માંથી 50 કિ.મી ટ્રેક પર 40 થી ઓછી સ્પીડે ટ્રેનનું પરિવરન શરુ કરી દેવાયુ છે. સાથે જ રેલવે ટ્રેકની આસપાસ લગાવવામાં આવશે 50 થી વધુ એલઈડી સોલાર લાઈટ લગાવવાનો નિર્ણય લેવાયો છે.
અન્ય રાજ્યના અભ્યારણ્યોમાં ચાલતી ટ્રેનની એસઓપીનો આ મામલે અભ્યાસ કરાશે. બેઠકમાં નક્કી થયા મુજબની એસઓપી આવતીકાલે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત સુનાવણીમાં સિંહોના અકાળે થતા મૃત્યુ અટકાવવા નક્કર પગલાં લેવા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો. સાથે જ 12 એપ્રિલ સુધીમાં જવાબ રજૂ કરવા હાઇકોર્ટે રેલવે વિભાગને હુકમ કર્યો હતો. હાઈકોર્ટે કહ્યુ હતું કે, જંગલનો રાજા સિંહ છે તે સરકાર ધ્યાનમાં લે. ગુજરાત હાઇકોર્ટે કડક શબ્દોમાં અવલોકન કર્યું હતું. માનવની અસંવેદનશીલતાથી સિંહોની હત્યાં થઈ હોવાનું કોર્ટે અવલોકન કર્યુ હતું. હાઈકોર્ટે કહ્યુ હતું કે, રેલવે અને ફોરેસ્ટ વિભાગ રાત દિવસ એક કરે અને નિર્ણય લે. સાથે જ સિંહોના અકાળે થતા મૃત્યુ મુદે sop બનાવવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં ગુજરાતમાં સિંહોના અકાળે મૃત્યુ મુદે કોર્ટે સુઓમોટો લીધી હતી. જેમાં અભયારણમાંથી રેલવે લાઇનથી સિંહોના મૃત્યુ થતા હોવાની રજુઆત કરાઈ હતી.




