પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહી ગામના વતની 29 વર્ષીય વિરપાલસિંહ ઠાકોરનું મંડપ બાંધતી વખતે કરંટ લાગતાં કરૂણ મોત નિપજ્યું છે. તે ગોધરા તાલુકાના સાપા રોડ પર આવેલી ગોવિંદી ગાયત્રી નગર-3 સોસાયટીમાં મંડપ બાંધવાની કામગીરી કરી રહ્યો હતો. 
તે દરમિયાન આ ગોઝારી દુર્ઘટના ઘટી હતી. મળતી માહિતી મુજબ, જ્યાં તે મંડપ બાંધવાની કામગીરી કરી રહ્યો હતો, ત્યાંથી જ એક જીવંત વાયર પસાર થઈ રહ્યો હતો. જે માથાના ભાગે અડી જતા વિરપાલસિંહ નીચે પટકાયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. સાથી કામદારોએ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને યુવકના મોત મામલે અકસ્માતે ગુનો નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.



