પોરબંદરનાં ઝુરી બાગ વિસ્તારમાં એક ગૃહસ્થે તેના મિત્ર પરિવારને સ્નેહસબંધ દાવે આપેલુ મકાન ખાલી ન કરતા અને ગેરકાયદેસર કબજો જમાવી દેતા આ પરિવારના મહિલા અને તેના બે પુત્રો સામે નવા અમલી બનેલા લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ કડક કાર્યવાહી કરી ગુનો નોંધાયો હતો. પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં શેરી નંબર૧૪ ખાતે રહેતા, મચ્છીની કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા કલ્પેશ પ્રેમજીભાઈ માલમ એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, તેમના પિતા પ્રેમજીભાઈ બોદાભાઈ માલમે ૨૦૧૦ની સાલમાં ઝુરીબાગ વિસ્તારમાં મકાનની ખરીદી કરી હતી. તેના પિતા પ્રેમજીભાઈએ પોતાના મિત્ર હીરાભાઈ બાવનભાઈ ગોહેલને મિત્રતાના દાવે એ મકાનમાં નીચેના રૃમ બે-ત્રણ મહિના માટે રહેવા માટે આપ્યો હતો.
ત્યારથી આ મકાનમાં ફરિયાદીના પપ્પાના મિત્ર હીરાભાઈ અને પત્ની વનિતાબેન તથા બે દીકરા રોહિત અને અનિલ રહેતા હતા. ૨૦૨૧ની સાલમાં ફરિયાદીના પિતા પ્રેમજીભાઈ માલમનું અવસાન થયું હતું. એ પછીના ત્રણ મહિના બાદ પિતાના મિત્ર હીરાભાઈ પણ મૃત્યુ પામ્યા હતા ત્યારથી હીરાભાઈના પત્ની વનિતાબેન અને બે દીકરાઓ મકાનમાં નીચેના રૃમમાં રહેતા હતા. છેલ્લા છ વર્ષથી વનિતાબેન તેના બંને પુત્રો સાથે બીજે ક્યાંક રહેવા ચાલ્યા ગયા હતા, જેથી હીરાભાઈના દીકરા રોહિત અને અનિલને મિલકતનો મકાનનો કબજો ખાલી કરી આપવાની વાત કરતા તેઓએ ના પાડી દીધી હતી. ત્યારબાદ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં મિલકત ખાલી કરી ન હતી.
તેમાં પોતાનો સામાન રાખી ગેરકાયદેસર રીતે તાળું મારી કબજો કરી લીધો હતો, જે ગેરકાયદે હતો. એ પછી છેલ્લા છ વર્ષથી માર્કેટિંગ યાર્ડ નજીક ખાપટ વિસ્તારમાં રહેવા જતા રહ્યા હતા આથી કલ્પેશ માલમે ગુજરાત જમીન પચાવવા પ્રતિબંધિત અધિનિયમ હેઠળ ફરિયાદ કરી હતી. એ પછી પોરબંદરના સભ્ય સચિવ તેમજ નિવાસી અધિક કલેક્ટર દ્વારા રચવામાં આવેલી સમિતિમાં ચર્ચા થતાં એફઆઈઆર દાખલ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આથી આ પછી વનીતાબેન હીરાભાઈ ગોહેલ વગેરેએ હાઇકોર્ટમાં અરજી કરેલી હતી અને હાઇકોર્ટ તરફથી ઓરલ ઓર્ડર મુજબ વચગાળાનો સ્ટે આપવામાં આવેલ હતો જે સ્ટે પણ નીકળી ગયો હતો તેથી અંતે વનિતાબેન હીરાભાઈ ગોહેલ રોહિત હીરાભાઈ ગોહેલ અને અનિલ હીરાભાઈ ગોહેલ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.




