ભરૂચ જિલ્લાના ઓસારા ગામથી કવિઠા તરફ જતા રોડ પર મહાકાળી મંદિર નજીક આવેલા વળાંક પાસે એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકનું મોત નીપજયુ હતું જયારે અન્ય બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, ભરૂચ એસ.ટી ડેપોના ડ્રાઈવર ચંદ્રસિંહ ફતેસિંહ પરમાર ભરૂચથી સીધોત જતી લોકલ બસે પર હતી કંડકટર ગણપતભાઈ કાંતિભાઈ મિસ્ત્રી સાથે નીકળ્યા હતા. ત્યારે બસમાં આશરે ૧૩ મુસાફરો હતાં. ઓસારા ગામથી કવિઠા તરફ જતા રોડ પર મહાકાળી મંદિર નજીકના વળાંક પાસે સામેથી એક બાઈક પર ત્રણ સવારી આવી રહી હતી.
તે સમયે બાઈક ચાલક રોંગસાઈડમાં અને પુરઝડપે વાહન ચલાવી રહ્યો હતો. રસ્તાના વળાંક પર બાઈક અચાનક બસ સામે આવી જતા બાઈક ચાલકે કાબુ ગુમાવ્યો હતો. બસ ડ્રાઈવરે બેક મારી બસ ઉભી રાખી હોવા છતાં બાઈક બસની ડાબી બાજુ અથડાઈ હતી. જે બાદ બસ સ્ટાફ નીચે ઉતરી તપાસ કરતા બાઈક ચાલક લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. જયારે પાછળ બેઠેલા બે લોકોને ઈજાઓ થઈ હતી. ઈજાગસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્રણેય વ્યક્તિઓ અંગારેશ્વર ગામના સુનીલભાઈ વસાવા, દુર્ગેશભાઈ વસાવા અને કૌશિકભાઈ વસાવા હતા. સારવાર દરમ્યાન ડોકટરે સુનીલ વસાવાને મૃત જાહેર કયાં હતા. ઘટનાની જાણ થતા પોલીસે અકસ્માત અંગે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.




