અમદાવાદમાં તારીખ 12 જૂને થયેલ વિમાન દુર્ઘટના બાદ દુર્ઘટનાની તપાસન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એવામાં ભારતની નાગરિક ઉડ્ડયન નિયામક સંસ્થાએ એર ઇન્ડિયાને કહ્યું કે, તે આ વિમાન દુર્ઘટનામાં ગંભીર સુરક્ષાના ઉલ્લંઘનના કારણે ત્રણ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે બરતરફ કરે. આ આદેશ 12 જૂને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટો બાદ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ક્રેશ થયાના થોડા દિવસો પછી આવ્યો છે, જેમાં 270થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ થયાના થોડા સમય બાદ બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા અને ફક્ત એક જ વ્યક્તિ જીવિત બચ્યો હતો. આ ઉપરાંત, ઓછામાં ઓછા 29 અન્ય લોકોના મોત થયા હતા. મૃતદેહોની ઓળખ માટે ડીએનએ મેચિંગ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 220 DNA સેમ્પલમાંથી 202 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. જેમાં 160 ભારતીય, 7 પોર્ટુગીઝ, 34 બ્રિટિશ અને 1 કેનેડિયન વ્યક્તિનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના બાદ હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન, DGCAએ એર ઇન્ડિયાના ત્રણ કર્મચારીઓને તાત્કાલિક બરતરફ કરવા જણાવ્યું છે. DGCAએ સુરક્ષાના ઉલ્લંઘનોની ગંભીરતાને ધ્યાને રાખીને એર ઇન્ડિયાને આદેશ કર્યો છે કે, આ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે બરતરફ કરવામાં આવે. નોંધનીય છે કે, ડ્રીમલાઇનર અને એરબસ એરક્રાફ્ટનું ખાસ નિરીક્ષણ ઝડપથી થઈ રહ્યું છે. આ વિશે તપાસ શરૂ છે. બ્લેક બોક્સની પ્રારંભિક માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ, આ અકસ્માત એન્જિન, સ્લાઇડ, ફ્લૅપ અથવા ટેક ઓફ સંબંધિત કોઈ ટેકનિકલ ખામીને કારણે થયો હોઈ શકે છે.
