વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામની સીમમાં શુક્રવારે બપોરે એક અકસ્માતની ઘટના સામે આવી છે. ચાંપાવાડી-વાસકુઈ રોડ પર નાની કેનાલ પાસેના વળાંકમાં એક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારાના વડકુઈ ગામે રહેતા રીતેશભાઈ દશરીયાભાઈ ગામિત (ઉં.વ. 42) શુક્રવારે બપોરે આશરે એક વાગ્યે પોતાની સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ-26 E-5625 લઈને નીકળ્યા હતા. તેઓ તેમના એક સંબંધીને ચાંપાવાડી બેંક પાસે ઉતારીને ઘાટા ગામે સગાઈના પ્રસંગમાં જઈ રહ્યા હતા.આ દરમિયાન ચાંપાવાડી-વાસકુઈ રોડ પરથી પસાર થતી વખતે એક અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી રીતેશભાઈની બાઇકને સામેથી જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં રીતેશભાઈને માથા તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ડાબા પગે ફ્રેક્ચર થતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મૃતકની પત્ની સંગીતાબેન ગામિતની ફરિયાદના આધારે કાકરાપાર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.



