વલસાડ જિલ્લાનાં નાનાપોંઢા તાલુકાના સુખાલા ગામે રહેતી એક વિદ્યાર્થીનીએ પોતાના જ ઘરના ધાબા પર હૂક સાથે ઓઢણીની મદદથી ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, નાનાપોંઢા તાલુકાનાં સુખાલા ગામના કુંકણ ફળિયામાં રહેતા પફુલભાઈ વનુભાઈ ગાંવિત (ઉ.વ.૫૪)એ નાનાપોંઢા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, શુક્રવારે સાંજે ચારેક વાગ્યે તેઓ તેમની પત્ની નયનાબેન તથા બે દીકરીઓ શ્રુતિ (ઉ.વ.૧૩) અને તેનાથી નાની દીકરી પ્રતિક્ષા (ઉ. વ.૧૧) સાથે ઘર નજીક આવેલ તેમના ખેતરમાં કામ કરવા ગયાં હતાં. જોકે સાંજે ૬ વાગ્યે શ્રુતિએ પોતે ઘરે રસોઇ કરવા જાય છે તેમ માતાને કહીને જતી રહી હતી.
તે પછી દંપતી કઆમ પતાવીને ઘરે પહોંચ્યા હતાં અને શ્રુતિને બૂમ મારી તો કોઇ જવાબ મળ્યો નહોતો.
તેથી ઘરમાં જઈને અનાજ મૂકવાના રૂમમાં જોયું તો શ્રુતિએ ઓઢણીની મદદથી ગળે ફાંસો ખાધો હતો. જેથી પિતાએ દાતરડાથી ઓઢણીનો છેડો કાપી તેને નીચે ઉતારી હતી. પિતાએ ફોન કરતા સ્થળ પર પહોંચેલ ૧૦૮ સેવાના કર્મીએ શ્રુતિને તપાસીને તેણીને મૃત જાહેર કરતા માતા-પિતાના પગ તળેથી ધરતી સરકી ગઈ હતી. પિતા પ્રફુલભાઈએ પોલીસ મથકમાં લખાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓનો જમીન બાબતે તેમના મોટા પપ્પા બાબુભાઈ નાનુભાઇ ગાંવિત તથા તેમના દીકરાઓ લલિત અને લલિતનો પુત્ર કેતન સાથે છેલ્લા નવ વર્ષથી ઝઘડો ચાલી આવ્યો હતો. જે ઝઘડાને લઈને દીકરી શ્રુતિ સતત ટેન્શનમાં રહેતી હતી. એ ટેન્શનને કારણે જ દીકરીએ અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા સેવાઈ રહી હતી.




