અહીંયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. પક્ષના 100 જેટલા કાર્યકર્તાઓ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં જોડાયા હતા. માયાપદર ગામના 100 જેટલા કોંગ્રેસના કાર્યકર ભાજપમાં જોડાયા છે. આ ગામમાં વર્ષોથી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે અને ચૂંટણીઓમાં કોંગ્રેસને વધુ લીડ મળતી હતી.
વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરીયાએ નવા જોડાયેલા કાર્યકરોનું ભાજપનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું કે આ કાર્યકરો વિકાસ, રાષ્ટ્રવાદ અને સુશાસનના વિશ્વાસ સાથે ભાજપમાં જોડાયા છે.ઉલ્લેખનીય છે કે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા આ વિસ્તાર પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ગઢ હતો. તેમના પરાજય બાદ રાજકીય સમીકરણો બદલાયા હતા.2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયાને 89,034 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને 42,377 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર રવિ ધાનાણીને 26,445 મત મળ્યા હતા. અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયાની જીત થઈ હતી.કૌશિક વેકરીયાએ જણાવ્યું કે નવા કાર્યકરોના જોડાવાથી ભાજપ પરિવાર વધુ મજબૂત બન્યો છે. તેમના મતે આ પરિવર્તન ગામના વિકાસ અને પ્રગતિ માટે નવા દ્વાર ખોલશે. ભાજપનો પ્રભાવ વધતા આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે સત્તા મેળવવી મુશ્કેલ બની શકે છે.




