રાજ્ય આરોગ્ય વિભાગ દ્રારા રાષ્ટ્રિય રક્તપિત નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત રાજ્યના નિયત કરેલ ૧૨ જિલ્લાઓ પૈકી તાપીમાં પણ ‘લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇન (LCDC)’ની કામગીરી તા.૧૦/૦૬/૨૦૨૪થી તા.૦૨/૦૭/૨૦૨૪, દિન-૧૪ (મમતા દિવસ અને જાહેર રજા સિવાય) દરમ્યાન આશા અને ફીલ્ડ લેવલ વોલેંટીયર(પુરુષ) દ્વારા ઘરે-ઘરે મોજણી કામગીરીનુ આયોજન કરેલ છે. રાષ્ટ્રિય રક્તપિત નિર્મુલન કાર્યક્રમ (NLEP) : ‘લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇન(LCDC)’ અંતર્ગત જીલ્લા કક્ષાએ ડિસ્ટ્રીકટ કો-ઓર્ડિનેશન કમીટીની મીટીંગ કલેક્ટર સાહેબશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને તા.૩૦/૦૫/૨૦૨૪ના રોજ કલેક્ટર કચેરી ખાતે રાખવામાં આવી હતી.
જેમા કલેક્ટરશ્રી અને જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ મોજણી દરમ્યાન દરેક વ્યક્તિની તપાસ કરી રક્તપિતના વધુમા વધુ વણ શોધાયેલ દર્દીઓ શોધી કાઢી સારવાર હેઠળ મુકવા સુચન કર્યા હતા. ‘લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇન (LCDC)’ની કામગીરી તા.૧૦/૦૬/૨૦૨૪થી તા.૦૨/૦૭/૨૦૨૪, દિન-૧૪(મમતા દિવસ અને જાહેર રજા સિવાય) દરમ્યાન આશા અને ફીલ્ડ લેવલ વોલેંટીયર (પુરુષ) દ્વારા ઘરે-ઘરે મોજણીની કામગીરી હાથે ઘરાશે. આ કામગીરી માટે સુરત જિલ્લામાં કૂલ ૧૨૪૫ ટીમ, સુરત એસ.એમ.સી.મા કૂલ ૪૭૪ ટીમ તથા તાપી જિલ્લામાં કૂલ ૮૦૦ ટીમ દ્વારા ઘરના બે વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓની તપાસ કરવામાં આવશે. આ કામગીરી દરમ્યાન ટીમ દ્વારા પ્રત્યેક ઘરની મુલાકાત લઇ રક્તપિત અંગે લોકોને સમજ આપી ઘરના તમામ સભ્યોની રક્તપિત અંગે શારીરીક તપાસણી કરી રક્તપિતના શંકા જનક દર્દીઓ ને શોધી કાઢી, તબીબી અધિકારી દ્વારા નિદાન કરાવી તરતજ સારવાર શરુ કરવામાં આવશે.
સુરત જિલ્લામાં રક્તપિત રોગનો પ્રમાણ દર મે ૨૦૨૪ના અંતે ૧૦૦૦૦ની વસ્તીએ ૦.૭૫ અને તાપી જિલ્લામાં રક્તપિત રોગનો પ્રમાણ દર ૧૦૦૦૦ની વસ્તીએ ૨.૯૫ છે. જ્યારે ગુજરાત રાજ્યનો રક્તપિત રોગનો પ્રમાણ દર ૧૦૦૦૦ની વસ્તીએ ૦.૪૮ છે.
માર્ચ-૨૦૨૪ અંતિત ૨ હાઈએન્ડેમીક જીલ્લાઓ (વડોદરા, સુરત)માં રોગનું પ્રમાણ દર ૧ કરતા નીચે લાવી એલીમીનેશનનું ધ્યેય હાંસલ કર્યું છે.
હજુ પણ ૯ હાઈએન્ડેમીક જીલ્લાઓ (વલસાડ, છોટાઉદેપુર, દાહોદ પંચમહાલ, નર્મદા, મહીસાગર તાપી, નવસારી, ડાંગ અને ભરૂચ)મા રક્તપિત રોગનું પ્રમાણદર ૧ કરતા વધારે છે.
ઘણા સમય સુધી રક્તપિતને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. કેટલાક લોકો માને છે કે, આ રોગ સ્પર્શ કરવાથી ફેલાય છે. જોકે આ વાત તદ્દન ખોટી છે. રક્તપિત સ્પર્શ કરવાથી ફેલાતો નથી. સંક્રામક રોગ હોવા છતાં પણ સ્પર્શ કરવાથી, હાથ મિલાવવાથી, સાથે ઉઠવા-બેસવાથી ફેલાતો નથી. રક્તપિત્ત વારસાગત નથી કે પૂર્વજન્મના પાપ કે શાપ નું ફળ નથી. પરંતુ આ રોગ ઉધરસ અને છીક દ્વારા ફેલાય છે.
રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્રારા વર્ષોથી રક્તપિતને નાથવા માટે અનેકવિધ પગલા હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાકાળ બાદ વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન રક્તપિતના વણશોધાયેલ દર્દીઓ શોધવા એકટીવ કેસ ડીટેકશન એન્ડ રેગ્યુલર સર્વે, સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઈન, હાર્ડ ટુ રીચ એરીયા કેમ્પેઈન જેવી ખાસ ઝુંબેશ હાથ ધરીને સધન કામગીરી આરોગ્ય વિભાગ દ્રારા કરવામાં આવી. જેમાં જનરલ હેલ્થ સ્ટાફ અને આશાની ટીમો દ્રારા ઘરે-ઘરે તપાસ કરી રક્તપિત નવા દર્દી શોઘીને ત્વરીત બહુ ઔષઘિય સારવાર હેઠળ મુકી તેઓને રોગ મુકત કરેલ છે.
સુરત અને તાપી જીલ્લામા છેલ્લા સાત વર્ષમા અનુક્રમે ૩૮ અને ૧૩ જેટલી રીકન્સ્ટ્રકટીવ સર્જરી કરી દર્દીઓની વિકૃતિ દૂર કરેલ છે. સુરત અને તાપી જીલ્લામા વર્ષ ૨૦૧૬-૧૭થી ૨૦૨૩-૨૪ (માર્ચ-૨૦૨૪ અંતિત) સુધીમા અનુક્રમે રક્તપિતના કારણે પગમાં બધીરતા ધરાવતાં કુલ-૬૯૭૫ અને ૩૩૨૨ રક્તપિતગ્રસ્તોને માઈક્રો સેલ્યુલર રબર શુઝ (એમ.સી.આર.) પુરા પાડેલ છે. જેના કારણે પગમાં બધીરતા ધરાવતાં રક્તપિતગ્રસ્તોને પગમાં ન રૂઝાય તેવા ચાંદા (અલ્સર)થી બચાવી શકાય છે.
આવો જાણીએ રક્તપિત શું છે?
રક્તપિત માઈક્રોબેકટેરીયમ લેપ્રસી નામના સૂક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઈપણ ઉમરે સ્ત્રી અથવા પુરુષ એમ બંને જાતિને થઈ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિ થી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફતે ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુઅઔષધિય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ /અપંગતા અટકાવી શકાય છે.
રક્તપિત રોગના ચિન્હો-લક્ષણો
(૧) શરીરના કોઈપણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું (૨) જ્ઞાનતંતુ ઓ જાડા થવા તેમજ તેમા દુ:ખાવો થવો.
રક્તપિતના દર્દીને સારવાર કયાંથી મળે?
રક્તપિત કોઈપણ તબક્કે સંપૂર્ણપણે મટી શકે છે. નજીકના તમામ સરકારી દવાખાના, સબસેન્ટર પ્રાથમિક આરોગય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ, ડીસ્ટ્ર્રીકટ જનરલ હોસ્પિટલ, ખાતે એમ.ડી.ટી. (મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ) બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી-તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.




