સુરત શહેરમાં પર્યાવરણની જાળવણી માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલને ભવ્ય સફળતા મળી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન મુજબ, શહેરના ૨૧ કૃત્રિમ તળાવોમાં ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિથી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ-૨૦૨૫ માં કૃત્રિમ તળાવોમાં કરવામાં આવેલ ગણેશજીની પ્રતિમાઓનાં વિસર્જનની આપવામાં આવેલી માહિતી અનુસાર અઠવા ઝોનમાં ૪૦૧૨ મૂર્તિઓ, વરાછા ઝોન એમાં ૫૮૭૦ મૂર્તિઓ, વરાછા ઝોન બીમાં ૮૦૭૨ મૂર્તિઓ, લિંબાયત ઝોનમાં ૨૪૪૬૬ મૂર્તિઓ, ઉધના ઝોન એમાં ૩૭૫૬ મૂર્તિઓ, ઉધના ઝોન બીમાં ૧૬૩૫ મૂર્તિઓ, રાંદેર ઝોનમાં ૩૪૩૩ મૂર્તિઓ, કતારગામ ઝોનમાં ૧૦૬૫૭ મૂર્તિઓ તેમજ ઓવારા ખાતે ૯૩૨૩ મૂર્તિઓની વિસર્જન કરવામાં આવ્યું હતું.તે ઉપરાંત સ્વચ્છ શહેરના બહુમાનને યથાવત રાખવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા વિસર્જન બાદ તાત્કાલિક સફાઈ અભિયાન આદરી દેવાં આવ્યું હતું. વિસર્જન બાદ તમામ ૯ ઝોનમાં કુલ ૩૬૮ રૂટ પરથી ૩,૮૦૦ જેટલા સફાઈ કર્મચારીઓ, ૩૦૦ સુપરવાઇઝર્સ, ૨૦ ટ્રક અને મશીનરી સાથે તેમજ ૫૦૦ જેટલા વાહનો દ્વારા સફાઈ શરૂ કરવામાં આવી હતી.
૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ સવારે ૬ વાગ્યાથી ૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ સવારે ૧૦ વાગ્યા સુધીમાં કુલ ૭૯,૮૩૫ ગણેશ પ્રતિમાઓનું કૃત્રિમ તળાવોમાં વિસર્જન થયું હતું. આ પ્રશંસનીય પગલાથી તાપી નદી અને અન્ય જળાશયોમાં થતા પ્રદૂષણને અટકાવી શકાયું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને કૃત્રિમ તળાવોનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી, જેને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવેલા તળાવો પર વિસર્જનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી લોકોને કોઈ અગવડ ન પડે. આ સફળ આયોજન પર્યાવરણ પ્રત્યે સુરતના લોકોની જાગૃતિ અને જવાબદારી દર્શાવે છે.




