સુરત જિલ્લાના ઓલપાડ ખાતે આવેલી સીટી સર્વેની કચેરીમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રોપર્ટી કાર્ડમાં નામ ચઢાવવાની કામગીરીના અવેજમાં લાંચ માંગનાર શિરેસ્તેદારને એસીબી એ છટકું ગોઠવીને ૩૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસના ફરિયાદીએ તેમના અસીલની મિલકતોના પ્રોપર્ટી કાર્ડમાં નામ ચઢાવવા માટે જરૂરી દસ્તાવેજો સાથે સીટી સર્વે કચેરી, ઓલપાડ ખાતે ત્રણ અરજીઓ કરી હતી. આ અરજીઓની નોંધો પ્રમાણિત કરવાના કામ માટે કચેરીના શિરેસ્તેદાર (વર્ગ-૩) નિલેશભાઇ બાલુભાઇ પાંડવ એ પ્રત્યેક અરજી દીઠ ૧૦૦૦ લેખે કુલ ૩૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા તારીખ ૦૫/૦૫/૨૦૨૬ના રોજ ઓલપાડ સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની ચેમ્બરની બહાર ખુલ્લા પેસેજમાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી નિલેશભાઇ પાંડવે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના ૩૦૦૦ રૂપિયા સ્વીકારતા જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો. એસીબીએ લાંચની રકમ રિકવર કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




