
મિડલ-ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. ભારત તેની એલપીજી જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરતો હોવાથી દેશમાં રાંધણ ગેસની અછત વર્તાઈ રહી છે. આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) હવે ૧૪.૨ કિલોગ્રામના સ્ટાન્ડર્ડ ઘરેલુ સિલિન્ડરમાં માત્ર ૧૦ કિલોગ્રામ ગેસ ભરીને સપ્લાય કરવાની યોજના બનાવી રહી છે.
ભારત તેની જરૂરિયાતનો ૬૦% એલપીજી આયાત કરે છે, જેમાંથી ૯૦% પુરવઠો ખાડી દેશોમાંથી આવે છે. હાલમાં હોર્મુઝની ખાડીમાં સર્જાયેલા તણાવને કારણે સપ્લાય ચેઈન પર માઠી અસર પડી છે,ભારતના ૬ મોટા એલપીજી ટેન્કરો પર્શિયન ગલ્ફમાં ફસાયેલા છે.છેલ્લા એક સપ્તાહમાં માત્ર બે જ જહાજો ભારત પહોંચ્યા છે, જે દેશના માત્ર એક દિવસના વપરાશ જેટલી જ ક્ષમતા ધરાવે છે.ઓઇલ કંપનીઓના મતે, ૧૪.૨ કિલો ગેસ આશરે ૩૫-૪૦ દિવસ ચાલે છે, જ્યારે ૧૦ કિલો ગેસ પણ એક પરિવારની એક મહિનાની જરૂરિયાત પૂરી કરી શકે છે. જથ્થો ઘટાડવાથી મર્યાદિત સ્ટોક વધુ ગ્રાહકો સુધી પહોંચાડી શકાશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો આ નિર્ણય અમલમાં આવશે તો ગ્રાહકોને આર્થિક નુકસાન નહીં થાય.ગ્રાહકોએ માત્ર ૧૦ કિલો ગેસના જ નાણાં ચૂકવવા પડશે, જે હાલના ભાવ કરતા ઓછા હશે.આવા સિલિન્ડરો પર ખાસ પ્રકારના સ્ટીકરો લગાવાશે જેથી ગ્રાહકોને ગેસના જથ્થા અંગે સ્પષ્ટતા રહે.આ ફેરફાર માટે બોટલિંગ પ્લાન્ટ્સમાં મશીનરીના સેટિંગ્સ બદલવા અને નિયમનકારી મંજૂરી લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.વૈશ્વિક સ્તરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અલ્ટીમેટમ આપ્યું છે કે જો હોર્મુઝની ખાડી શિપિંગ માટે બંધ રાખવામાં આવશે, તો અમેરિકા ઈરાનના ઉર્જા મથકોને નિશાન બનાવી ‘નેસ્તનાબૂદ’ કરી દેશે. આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના પુરવઠા બાબતે અનિશ્ચિતતા વધુ ઘેરી બની છે.પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ, ડોમેસ્ટિક ગ્રાહકોને પ્રાથમિકતા આપવા માટે હોટલ અને રેસ્ટોરન્ટ જેવા કોમર્શિયલ સેક્ટરના પુરવઠામાં કાપ મૂકવામાં આવ્યો છે. હાલમાં કોમર્શિયલ સપ્લાય યુદ્ધ પૂર્વેના સ્તરના માત્ર ૪૦ ટકા સુધી જ પુનઃસ્થાપિત કરાયો છે.



