સુરત ગ્રામ્ય જીલ્લા પોલીસ દ્વારા પ્રજાલક્ષી અને પ્રશંસનીય કામગીરીના ભાગરૂપે ચોરી થયેલા અથવા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢીને તેના મૂળ માલિકોને પરત સોંપવા માટે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કામરેજ તાલુકાના વાવ ગામ ખાતે આવેલી શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ અને સુરત ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ આ સફળ કામગીરી પાર પાડવામાં આવી છે. સુરત ગ્રામ્ય જીલ્લાની LCB ની ટેકનિકલ ટીમ તથા વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા કેન્દ્ર સરકારના ‘CEIR પોર્ટલ’નો અસરકારક ઉપયોગ કરીને ટૂંકા સમયગાળામાં કુલ ૨૨૨ મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. રીકવર કરવામાં આવેલા આ તમામ ૨૨૨ મોબાઈલ ફોનની કુલ અંદાજિત કિંમત રૂ.૪૨,૮૪,૯૧૭/- જેટલી થાય છે, જેને આજરોજ કાયદેસરની કાર્યવાહી બાદ મૂળ અરજદારો અને માલિકોને સોંપવામાં આવ્યા છે. પોતાના ગુમ થયેલા કિંમતી મોબાઈલ પરત મળતા નાગરિકોએ સુરત ગ્રામ્ય પોલીસની આ ત્વરિત અને સરાહનીય કામગીરીનો આભાર વ્યક્ત કર્યો હતો.




