અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા છીપાવાડમાં ગફુરજીની ગલીમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બનતા ખળભળાટ મચી ગયો હતો. 35થી 40 જેટલા લોકોએ લોકોએ ગાજરનો હલવો ખાધા બાદ મોડી રાત્રે લોકોની તબિયત ખરાબ થઈ હતી અને લોકોમાં દોડધામ મચતા અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આ મામલે અમદાવાદ મનપાના ફૂડ વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના જણાવ્યા મુજબ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા ગફૂરજીની ગલીમાં રહેતા નવા ઘરના પ્રસંગે જમણવાર યોજવામાં આવ્યો હતો. જમણવારમાં માત્ર સંબંધીઓને બોલાવવામાં આવ્યાં હતા. 50 થી 100 માણસોનો જમણવાર યોજાયો હતો. જેમાં ગાજરનો હલવો, ખીચડી અને નોનવેજ સહિતની ચીજવસ્તુઓ ખાવામાં હતી.જે ખાધા બાદ અચાનક જ 30થી 40 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. રાતે તાત્કાલિક છીપા વેલ્ફેર દવાખાનામાં અને જમાલપુર ચેપી રોગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફૂડ વિભાગ દ્વારા ગાજરના હલવાનું સેમ્પલ લેવામાં આવ્યું.



